સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેમની સેના સતત આતંકવાદીઓને સહયોગ કરતી રહેશે તો અમે કોઇ પણ કાર્યવાહી કરતા પાછળ નહીં હટીએ. કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂર્ણ થતા જમ્મૂ કાશ્મીરના દ્રાસ સેક્ટરમાં ગ્રાઉન્ડ જીરો પર પહોંચેલા સેના પ્રમુખ જનરલ રાવતે પાકિસ્તાનને ચેતવણી આપી હતી.
જનરલ રાવતે કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ એર સ્ટ્રાઇકથી અમે એક સંદેશ આપ્યો હતો કે તેઓ પોતાની કરતૂતો અટકાવશે નહીં તો અમે હવાઇ તાકાતનો ઉપયોગ પણ કરી શકીએ છીએ.
તેમણે પાકિસ્તાની સેનાને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે, એવી કોઇ પણ હરકતથી દૂર રહો. અમારા વિરૂદ્ધ જો કોઇ કાર્યવાહી થઇ તો અમે તેમને જડબાતોડ જવાબ આપીશું.
આજે અમે કારગિલ જેવી કોઇ કાર્યવાહી નહીં થવા દઇએ. સેનાધ્યક્ષે કહ્યું કે, પહેલા તો એવી કાર્યવાહી થશે નહીં અને જો કોઇ એવી હરકત કરે છે તો અમે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ.
સેના મુખ્યાલયના પુનર્ગઠનનું કાર્ય પૂર્ણ
તેમણે કહ્યું કે સેનાને ચૂસ્ત-દુરૂસ્ત બનાવવા માટે મુખ્યાલયના પુનર્ગઠનનું કાર્ય પૂર્ણ થઇ ચૂક્યું છે. ફોઝને તંદુરસ્ત રાખવા માટે ઇંટીગ્રેટેડ બૈટલ ગ્રુપ પર પણ કાર્યવાહી ઘણી આગળ જઇ ચૂકી છે. અમે યુદ્ધાભ્યાસ દ્વારા તેનો જમીન પર પણ ટેસ્ટ કર્યો છે.
શહીદોના પરિવારજનો, ઇજાગ્રસ્તોનો જુસ્સો યથાવત
કારગિલ યુદ્ધને યાદ કરતા સેના પ્રમુખે કહ્યું કે, યુદ્ધમાં ઇજાગ્રસ્ત જવાનો અને શહીદોના પરિવારજનોનો જુસ્સો આજે પણ યથાવત છે. તેમણે કહ્યું કે, આજે જ્યાં આપણે દ્રાસ સેક્ટરમાં છીએ, અહીં સેનાએ ઘણી તૈયારી કરી છે. આપણી ફોજ તમામ રીતે સતર્ક છે.
દેશને તમામ સ્થિતિમાં સુરક્ષિત રાખશે સેના
સેનાધ્યક્ષે કહ્યું કે, યુદ્ધમાં જે સેના જીતે છે, આવનાર પેઢી અને નવયુવાનોને આનાથી પ્રેરણા મળે છે. તેમણે કહ્યું કે, સેના દરેક પરિસ્થિતિમાં દેશને સુરક્ષિત રાખશે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ટ્રેનિંગને લઇને જનરલ રાવતે કહ્યું કે, જે પણ નવયુવાનને વરદી પહેરવાનો શોખ છે, તેમને તેમની ફરજ નિભાવવા જરૂર આવવું જોઇએ.