કોરોના વાયરસનાં કારણે વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસનાં કારણે ભીડ એકઠી ન થાય તે માટે કેટલીય ઈવેન્ટ રદ્દ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસે કોહરામ મચાવ્યો છે. પાકિસ્તાન સુપર લીગની કેટલીક મેચ રદ્દ કરી દેવી પડી. એવામાં પાકિસ્તાની ક્રિકેટરને આ સમયમાં પ્રભુ શ્રી રામની યાદ આવી. પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાનું ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.
પાકિસ્તાનનાં ક્રિકેટરને યાદ આવ્યા પ્રભુ શ્રી રામ
કોરોના વાયરસનાં કારણે પાકિસ્તાનમાં હડકંપ
ભારતમાં રવિવારે સવારે કોરોના વાયરસથી પીડિતોની સંખ્યા 315 થઇ
પાકિસ્તાનનાં દાનિશ કનેરિયાએ કોરોના વાયરસ મુદ્દે ટ્વીટ કરીને લખ્યું 'પ્રભુ શ્રી રામ બધાને સારું સ્વાસ્થ્ય આપે, હું કોરોના વાયરસથી બધાની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું.' પાકિસ્તાનનાં ખેલાડી દ્વારા કરવામાં આવેલ આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તેમણે લોકોને કોરોના વાયરસથી બચવા માટે અપીલ પણ કરી હતી. નોંધનીય છે કે પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસે હડકંપ મચવી દીધો છે. 500થી વધુ લોકો કોરોના વાયરસથી પીડિત છે.
ભારતમાં અત્યાર સુધી 315 લોકો જીવલેણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. કોરોનાએ 4 લોકોનો ભોગ પણ લીધો છે. ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસની સંખ્યામાં ઝડપથી વધારાને જોતા અમદવાદ, સુરત, વડોદરા અને રાજકોટને 25મી માર્ચ સુધી લોકડાઉન કરવા આદેશ આપવામાં આવ્યા છે.
રવિવારે વડાપ્રધાન મોદીએ લોકોને જનતા કર્ફ્યુંનું પાલન કરવા અપીલ કરી હતી જેને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં 24 કલાક ધમધમતા શહેરો સૂમસામ ભાસી રહ્યા છે. ઠેર-ઠેર સન્નાટો છવાઈ ગયો છે. કોરોના વાયરસથી બચવાનો એક જ રસ્તો છે સાવચેતી. જેનું દરેક નાગરિક પાલન કરતુ નજરે પડી રહ્યું છે.