ભારત પર આરોપ લગાવવામાં સદાય અગ્રેસર રહેનાર પાકિસ્તાને મોટો દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે, ભારત તરફથી એક અજ્ઞાત મિસાઇલ છોડવામાં આવી કે જે પંજાબમાં જઇને પડી અને તેનાથી કેટલાંક નાગરિક વિસ્તારમાં થોડુંક નુકસાન થયું છે.
પંજાબના ખાનેવાલ જિલ્લામાં મિસાઈલ પડ્યાનો દાવો
પાક. સેનાએ કહ્યું કે, '9 માર્ચે મિસાઈલ છોડવામાં આવી હતી'
પાકિસ્તાને આ મુદ્દે ભારત પાસે જવાબ માંગ્યો
નાગરિક વિસ્તારોમાં થયું નુકસાન
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારે મીડિયાને જણાવ્યું કે, નવ માર્ચના રોજ સાંજે 6 વાગીને 43 મીનિટ પર એક તેજ ગતિથી ઉડનારી વસ્તુએ ભારતીય ક્ષેત્રમાંથી ઉડાણ ભરી હતી અને તે અચાનક જ રસ્તો ભટકી જતા પાકિસ્તાનના ક્ષેત્રમાં પ્રવેશ કરી ગઇ અને નીચે પડે. જો કે, તેનાથી રહેણાંક વિસ્તારમાં થોડુંક નુકસાન પણ થયું છે પરંતુ તેમાં કોઇનોય જીવ નથી ગયો.
ભારતે નથી આપી કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા
ભારત તરફથી આ મામલે કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી અપાઇ. મેજર જનરલ ઈફ્તિખારે જણાવ્યું કે, બુધવારે રાત્રે પંજાબના ખાનવાલ જિલ્લાના મિયાં ચન્નુ વિસ્તારમાં એક અજાણી વસ્તુ (મિસાઈલ) પડી હતી. તેને સપાટી પરથી લોન્ચ કરવામાં આવી હતી. જેની જાણ થતાં જ પાકિસ્તાની વાયુસેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ભારત લાપરવાહીના અપ્રિય પરિણામોને ધ્યાનમાં રાખે
જો કે બીજી બાજુ પાકિસ્તાને ભારતે ચેતવણી પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં કહ્યું કે, 'ભારત લાપરવાહીના અપ્રિય પરિણામોને ધ્યાનમાં રાખે અને ભવિષ્યમાં આ પ્રકારના ઉલ્લંઘનને રોકવા માટે યોગ્ય ઉપાય કરે.'