હજુ થોડા દિવસ પહેલા જ ભારતને ફાયરિંગ રોકવા આજીજી કરતું પાકિસ્તાન હવે ગોળીબારી બંધ કરવાનું નામ લેતું નથી. એક તરફ ભારતે પવિત્ર રમજાન માસમાં પોતાના તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન નહીં કરવા મન બનાવ્યું છે તો બીજી તરફ પાકિસ્તાને સરહદ પર નાપાક હરકત ચાલુ રાખી છે.
ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાન દિવસ-રાત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. અરનિયા અને સાંબા બાદ હવે આરએસ પુરા સેક્ટરને પાકિસ્તાની રેંજર્સે પોતાનું નિશાન બનાવ્યું છે. આ ગોળીબારમાં આજે સવાર સુધીમાં 5 નાગરિકોના મોત નિપજ્યાં છે.
બુધવારે સવારે કઠુઆ જિલ્લાના હીરાનગરમાં સરહદ પારથી ગોળીબાર કરવામાં આવ્યો. જેમાં ગોંદી વિસ્તારમાં રામ પૉલ નામનો એક વ્યક્તિને ગોળી વાગી હતી. રામ પૉલને સારવાર અર્થે જમ્મૂની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આપને જણાવી દઇએ કે નાપાક પાકિસ્તાન રમઝાન મહિનામાં પણ સરહદ પર સતત ઉંબાડીયા કરી રહ્યું છે. પાકિસ્તાને ગત રાત્રે બીએસએફની લગભગ 40 પોસ્ટોને પણ પોતાનું નિશાન બનાવી હતી આ હરકત તેણે બીજા દિવસે પણ ચાલુ રાખી છે. પાકિસ્તાન સતત 82 MM મોર્ટાર દાગી રહ્યું છે સાથો સાથ ભારે ગોળીબાર કરી રહ્યું છે. જેમાં 4 નાગરિકો ઈજાગ્રસ્ત થતાં હતાં. જેમાં ત્રણ નાગરિકો હીરાનગર સેક્ટરના લોંદી ગામના છે જ્યારે એક વ્યક્તિ અરનિયા સેક્ટરમાં ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે.
આ ઉપરાંત લોકોના ઘરોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી આખી રાત હીરાનગર સાંબા રામગઢ અરનિયા અને આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો. જેને લઈને આંતરરાષ્ટ્રીય બોર્ડરના 5 કિલોમીટરની આસપાસની તમામ સરકારી અને પ્રાઈવેટ શાળાઓ બંધ રાખવામાં આવી છે. પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા ગોળીબારને ધ્યાનમાં રાખી આરએસપુરા અરનિયા અને સાંબા સેટરમાં વધારે બુલેટપ્રુફ વાહનો મોકલવામાં આવ્યાં છે.
અગાઉ ગઈકાલે મંગળવારે પણ પાકિસ્તાને સરહદ પર મોર્ટાર મારો ચલાવ્યો હતો અને LOC સાથે અડીને આવેલા અરનિયા અને આરએસપુરા સેટરના સહેવાસી વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. અખનૂરના સેરી પલ્લી ગામમાં પણ એક માસુમ બાળકને ગોળી વાગવાથી તેનું મોત નિપજ્યું હતું. પાકિસ્તાન દિવસે શાંતિની વાત કરે છે અને રાત્રે ગોળીબાર અને મોર્ટાર ચલાવી રહ્યું છે.