પાડોશી દેશ પાકિસ્તાનમાં સેનાની જ હકુમત ચાલે છે. લગભગ દર વર્ષે આવતા તટસ્થ અને પ્રમાણિક અહેવાલોમાં આ હકીકત અનેક વખત સામે પણ આવી છે. હવે અમેરિકન કોંગ્રેસ (સંસદ)ની સ્વતંત્ર અનુસંધાન વિંગ કોંગ્રેસનસ રિસર્ચ સર્વિસ (CRS)ના રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન ઈમરાન ખાનના કાર્યકાળમાં વિદેશ અને સુરક્ષા નીતિઓ પર પણ પાકિસ્તાની સેના સતત હાવી રહી છે.
અગાઉ ઈમરાન ખાનના પૂર્વ પત્ની રેહમ ખાન પણ તેમને સેનાની કઠપૂતળી ગણાવી ચૂક્યા છે. આતંકવાદીઓને તાલીમ આપનારી પાકિસ્તાની સેનાના ઈશારે જ સરકાર ચાલતી રહી છે. પાકિસ્તાનના અત્યાર સુધીના કાળા ઈતિહાસ પર નજર કરીએ તો, જ્યારે પણ વડાપ્રધાને સેનાનો કે તેના કોઈ નિર્ણયનો વિરોધ કર્યો ત્યારે તેમને ફાંસી આપી દેવામાં આવી અથવા તો તખ્તાપલટ કરીને તેમને ઉથલાવી સત્તા છીનવી લેવામાં આવી છે.
72 વર્ષના પાકિસ્તાનના ઈતિહાસમાં જ્યારે જ્યારે દેશ પર સંકટ આવ્યું ત્યારે ત્યારે સેનાએ લોકતંત્રને કચડીને દેશનું સુકાન પોતાના હાથમાં લઈ લીધું છે. ફિલ્ડમાર્શલ અયુબ ખાનથી લઈને યાહયા ખાન સુધી અને ઝિયા ઉલ હકથી લઈને પરવેઝ મુશર્રફ સુધી કુલ 35 વર્ષ પાકિસ્તાની સેનાના પ્રમુખ દેશ પર રાજ કરી ચૂક્યા છે.
સેનાએ પાકિસ્તાનમાં આ રીતે કર્યો લોકતંત્રનો ખાતમો
કોઈ પણ લોકતંત્રમાં નિયમો-કાયદા, ચૂંટણી, ન્યાયપાલિકા સૌથી શક્તિશાળી હોય છે, પરંતુ પાકિસ્તાની સેનાએ તેનું અસ્તિત્વ જ અપ્રાસંગિક બનાવી દીધું છે. નાગરિકોના મૂળભૂત અધિકારો કોરાણે મૂકીને અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને સેના સત્તાના કેન્દ્રની બિંદુ બની ગઈ છે. પરિણામ એ આવ્યું કે, પાકિસ્તાનમાં સેના જ સર્વેસર્વા બની ગઈ છે.
દેશને વારંવાર યુદ્ધની આગમાં હોમી મોટું નુકસાન કર્યું
સેનાના પ્રભાવ અને દબાણમાં જ પાકિસ્તાને અત્યાર સુધીમાં ભારત સાથે ચાર યુદ્ધ (1947, 1965, 1971, 1999) કર્યા છે. ચારેય યુદ્ધમાં પાકિસ્તાનની બહુ શરમજનક અને કારમી હાર થઈ છે. પરિણામે 1971માં પાકિસ્તાન બે ભાગમાં વહેંચાઈ ગયું અને તેના ભાગલા પડી ગયા. બાંગ્લાદેશ નવો દેશ બન્યો. આ દરમિયાન પાકિસ્તાનમાં ન તો ઉદ્યોગો કે ધંધા વિકસ્યા અને ન કોઈએ કૃષિ પર ધ્યાન આપ્યું. પરિણામે અમેરિકા પાસેથી મળતી ખેરાતના પૈસાથી પાકિસ્તાનમાં સેના અને અધિકારીઓ તો બહુ અમીર બની ગયા, પરંતુ જનતા સતત ગરીબી હેઠળ જીવવા મજબૂર બની.
ધાર્મિક કટ્ટરતાની આગથી આખો દેશ સળગ્યો
જનરલ ઝિયા ઉલ હકે પાકિસ્તાનને ધાર્મિક કટ્ટરતાની આગમાં હોમી દીધું, એટલું જ નહીં પણ તેણે કાશ્મીરને પણ સળગાવવાનું ‘નાપાક’ કામ કર્યું હતું. તેણે પોતાના શાનકાળમાં કટ્ટરતાના જે કાંટા વાવ્યા તે આજે પણ પાકિસ્તાનના લોકોને વાગી રહ્યા છે. પાકિસ્તાન પ્રગતિની રાહ ઉપરથી ભટકીને આતંકવાદના રસ્તે આવી ગયું. જનરલ ઝિયા ઉલ હકે 1973માં જે બંધારણીય જોગવાઈઓ કરી હતી, તેમાં કોઈ પણ બિનમુસ્લિમ વ્યક્તિ દેશનું પ્રતિનિધત્વ ન કરી શકે તે પણ સામેલ હતું. તખ્તાપલટ બાદ ઝિયા ઉલ હકે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું ત્યારે બંધારણને ઠુકરાવીને શરિયા કાનૂન લાગૂ પાડી દીધો હતો. આજે પાકિસ્તાન બરબાદીના જે વળાંકે ઊભું છે, ત્યાં સુધી પહોંચાડવામાં ઝિયા ઉલ હકની આ નીતિઓ જ જવાબદાર હોવાનું કહેવાય છે.
યુવાનોને ગુમરાહ કરીને આતંકના રસ્તે ધકેલી દીધા
બેરોજગાર યુવાનોને પાકિસ્તાની સેનાએ પૈસાની લાલચ આપીને અફઘાનિસ્તાન અને ભારત વિરુદ્ધ આતંકવાદના રસ્તે ધકેલી દીધા છે, જેનાથી ગરીબી, ભૂખમરા અને આતંકવાદના કારણે જ પાકિસ્તાન આજે સમગ્ર દુનિયામાં ઓળખાય છે. સેનાના પાપે જ આજે લાખો યુવાનો ગેરમાર્ગે દોરાઈને હથિયાર ઉઠાવી ચૂક્યા છે.
દેશની અર્થવ્યવસ્થા પર પણ છે સેનાનો કબજો
પાકિસ્તાની સેના 20 અબજ ડૉલરથી વધારેની 50 વેપાર સંસ્થાઓ પણ ચલાવે છે. તેમાં પેટ્રોલપંપથી લઈને વિશાળ ઔદ્યોગિક સંસ્થાનો, બેન્કો, બેકરીઓ, સ્કૂલ, યુનિવર્સિટી વગેરે સામેલ છે. સેના પાકિસ્તાનના તમામ નવનિર્માણ અને ખાનગી સંપત્તિઓના સાત ટકા સુધીનું નિયંત્રણ કરે છે. પાકિસ્તાન ભલે આર્થિક મોરચે સાવ ખુવાર થઈ ગયું હોય, પણ પાકિસ્તાનની સેના અમીરીમાં આળોટી રહી છે.