પાકિસ્તાન સરકારે લાહોરના 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમનો જૈશ-એ-મોહમ્મદ અને જમાત-ઉદ-દાવા જેવા આતંકી સંગઠનો સાથે કનેક્શન હોવાનો આરોપ છે. જૈશના આકા મસૂદને તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. જમાત-ઉદ-દાવાનો હાફિઝ સઈદ 2008માં થયેલા મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. પાકિસ્તાન હાલ ભારતને શાંતીની અપીલ કરીને આ કાર્યવાહી કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધારો થયો હતો. જો કે ભારતે બાદમાં તમામ મોરચે પાકિસ્તાનને સાણાસમાં લેતા પાકિસ્તાન હાલ કરીગરી રહ્યું છે..અને તે હવે ભારત પાસે શાંતિની ભીખ માંગી રહ્યું છે..અને તેને લઈને જ આ કાર્યવાહી પાકિસ્તાન કરી રહ્યું છે.
ફેબ્રુઆરીમાં થયેલા પુલવામા હુમલાની જવાબદારી જૈશે લીધી હતી. જેમાં 40 CRPFના જવાનો શહીદ થયા હતા. ત્યર બાદથી જ બન્ને દેશો વચ્ચેના તણાવમાં વધારો થયો હતો. પાકિસ્તાન સરકારે ફેબ્રુઆરીમાં જ જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
પાકિસ્તાનના ઈમરાન અને મંત્રી એઝાઝ શાહ વચ્ચે મિટિંગ થઈ હતી. આ દરમિયાન 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. ઈમરાને પહેલા જ કહી દીધું હતું કે, પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદને પાળવા માટે ક્યારેય નહીં થવા દઉ.
પાકિસ્તાન નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ ઓથોરિટીના મતે આ પ્રતિબંધો દેશહીતમાં લેવાયા છે. તેમણે કહ્યું કે, પ્રતિબંધ કરાયેલા સંગઠનોમાં અલ-અન્ફાલ ટ્રસ્ટ, ઈદારા ખિદમત-એ-ખિલાફ, અલ-દાવત ઉલ ઈરશાદ, મોસ્ક એન્ડ વેલફેર ટ્રસ્ટ, અલ-મદીના ફાંઉન્ડેશ, મજ-બિન-જબેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને અલ-હમદ ટ્રસ્ટનું નામ સામેલ છે. આ તમામ સંગઠન લાહોરના છે.
આ 7 સંગઠનો ઉપરાંત લાહોરના અલ-ફઝલ ફાઉન્ડેશન/ટ્રસ્ટ અને અલ-ઈઝર ફાઉન્ડેશન, બહાવલપુરના અલ રહેમત ટ્રસ્ટ સંગઠન અને કરાચીના અલ-ફુરકાન ટ્રસ્ટ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. પાકિસ્તાન સરકારના આંતરિક મંત્રાલય હેઠળ આ ઓથોરિટી કામ કરે છે. સંગઠનો પર પ્રતિબંધની કાર્યવાહી પાકિસ્તાન સરકારના 2015ના નેશનલ એક્શન પ્લાન હેઠળ કરવામાં આવી છે.