પાકિસ્તાનની રસાતળમાં જતી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે ત્યાંની સેનાએ આગળ આવવું પડ્યું છે. સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ દેશના મોટા વેપારીઓ સાથે ખાનગી મુલાકાત કરી છે. આ મુલાકાત કરાચીના સૈન્ય કાર્યાલય ઉપરાંત સેનાના રાવલપિંડી સ્થિત હેડક્વાર્ટરમાં આયોજિત કરવામાં આવી.
પાકિસ્તાનમાં તખ્તાપલટની આશંકા, અર્થવ્યવસ્થા સંભાળવા સેના આગળ આવી
પાક. સેના પ્રમુખ કમર બાજવાની દેશના મોટા વેપારીઓ સાથે ખાનગી મુલાકાત
પાકિસ્તાનની ખરેખર કમાન જનરલ બાજવાના હાથમાં
જ્યાં બાજવાએ વેપારીઓ સાથે અર્થવ્યવસ્થાને સુધારવા માટે સલાહ માંગી છે. જોકે, વિશેષજ્ઞો તેને એક પ્રકારે સેનાની તખ્તાપલટ કરવાની તૈયારીની જેમ જોઇ રહ્યા છે. ઇમરાન ખાનના કાર્યકાળથી ખુશ ન હોવા પર આ પગલુ ઉઠાવાયું છે. આ પહેલા ઇમરાન ખાનની સરકારમાં ક્યારેય સેનાએ આર્થિક સ્થિતિ પર દખલ આપી નથી.
પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર સજ્જાદ પરિજાદે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, આ એક ખાનગી મીટિંગ હતી. જેમા સેના પ્રમુખે વ્યક્તિગત રૂપે મુલાકાત કરી હતી. આ મીટિંગમાં પાકિસ્તાનના મોટા વેપારીઓએ પોતાની ચિંતાઓ કમર જાવેદ બાજવાને જણાવી છે. આ ઉપરાંત સમાચાર મળી રહ્યા છે કે, બાજવાના આ વેપારીઓ સાથે પહેલાથી જ મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે.
પાકિસ્તાનમાં કેટલાક લોકોનું માનવું છે કે સેના પ્રમુખે સીમાની સુરક્ષા પર વધુ ધ્યાન આપવું જોઇએ. નહીં કે સરકારના કામમાં હસ્તક્ષેપ કરવું જોઇએ. વાસ્તવિકતા જે પણ હોય, જનરલ કમર જાવેદ બાજવાની વેપારીઓ સાથે આ રીતે મુલાકાત ન કરવી જોઇએ. સરકારના રોજિંદા કાર્યોમાં હસ્તક્ષેપથી તખ્તાપલટની આશંકા વધી જશે અને સરકારની સ્થિરતા પર સવાલ ઉભા થશે.
આ પહેલા પાકિસ્તાનના પીએમ ઓફિસથી આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના નામે એક પત્ર જાહેર થયો હતો. જેમા બાજવાને આવનાર ત્રણ વર્ષ માટે સેનાની કમાન ફરી સોંપવામાં આવી હતી. પાકિસ્તાનમાં હવે એવુ માનવામાં આવી રહ્યું છે કે ઇમરાન ખાન પાકિસ્તાનના વજીર-એ-આજમ છે, પરંતુ દેશની ખરેખર કમાન જનરલ બાજવાના હાથમાં છે.
પાકિસ્તાનના 72 વર્ષના ઇતિહાસમાં ઘણીવાર સેનાએ ચૂંટવામાં આવેલી સરકારનો તખ્તો પલટી ખુદ સત્તા સંભાળી છે. ફીલ્ડ માર્શલ અયૂબ ખાનથી લઇને યાહયા ખાન સુધી અને જિયાઉલ હકથી લઇને પરવેઝ મુશર્રફ સુધી કુલ 35 વર્ષ સુઘી પાકિસ્તાની સેના પ્રમુખ દેશ પર રાજ કરી ચૂક્યા છે. વર્તમાન સ્થિતિ ફરી એકવાર પાકિસ્તાનને એ તરફ ધકેલી રહ્યું છે.