16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ શરુ થઈ રહ્યો છે અને દરેક દેશ પોતપોતાની ટીમ જાહેર કરી રહ્યાં છે. ભારતે પણ તેની ટી20 ટીમની જાહેરાત કરી દીધેલી છે અને હવે પાકિસ્તાને પણ ટી20 વર્લ્ડ કપ માટે તેની ટીમ જાહેર કરી છે.
બાબર આઝમની કેપ્ટનન્સીમાં 15 સભ્યોની ટીમનું એલાન
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે બાબર આઝમની કેપ્ટનન્સીમાં 15 સભ્યોની ટીમનું એલાન કર્યું છે જેમાં વિસ્ફોટક બેટર ફખર જમાંને સ્થાન આપવામાં નથી આવ્યું જોકે બોર્ડે મોટાભાગના જુના ખેલાડીઓને જાળવી રાખ્યાં છે. ટીમમાં બહુ મોટો ફેરફાર કર્યો નથી.
પાકિસ્તાન ટી20 વર્લ્ડકપની પહેલી મેચ ભારત સામે 23 ઓક્ટોબરે રમશે
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપની તેની પહેલી મેચ ભારત સામે 23 ઓક્ટોબરે રમશે. એશિયા કપમાં ભારતને હરાવ્યાં બાદ પાકિસ્તાની ટીમ ફૂલ ફોર્મમાં છે. 23 ઓક્ટોબરે કાળી ચૌદશનો તહેવાર છે. ભારતે રોહિત શર્માની આગેવાનીમાં ટીમની જાહેરાત કરી દીધી છે.
એક પણ ઈન્ટરનેશનલ મેચ ન રમનાર ખેલાડી શાન મસૂદને ટીમમાં લેવાયો
પાકિસ્તાની પસંદગીકારોએ ડાબોડી બેટ્સમેન શાન મસૂદને ટીમમાં સામેલ કર્યો છે. મસૂદે ચાલુ વર્ષે ઈંગ્લેન્ડથી લઈને પાકિસ્તાન સુધીની જુદી-જુદી ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કર્યો છે. જોકે ખાસ વાત એ છે કે, તે હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમ્યો નથી. વળી, તેનો ટી20 સ્ટ્રાઇક રેટ માત્ર 126 છે. તે ટોપ ઓર્ડરનો બેટ્સમેન છે અને એવા સમયે જ્યારે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ધીમી બેટિંગ માટે પાકિસ્તાન ટીકાઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે આવા જ અન્ય એક ખેલાડીને તેની સાથે જોડીને આશ્ચર્ય થાય છે.