બહાલ અર્થવ્યવસ્થા બાદ પાકિસ્તાન પર વધુ એકવાર સંકટના વાદળો ઘેરાઇ રહ્યા છે, ત્યારે પાકિસ્તાનના ચાર રાજ્યોમાં તીડે એટલો હાહાકાર મચાવ્યો છે સામાન્ય લોકોથી લઇને સરકાર પણ પરેશાન થઇ ગયેલ છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સરકારે તીડની વધતી સંખ્યાને કાબૂ કરવા માટે હવાઇ જહાજથી એન્ટી તીડ સ્પ્રે કર્યુ છે. ત્યાં સુધી કે પાકિસ્તાન સરકારે મીરપુર જિલ્લાના એરપોર્ટ પર અનેક જહાજ પણ તેના માટે તૈનાત કર્યા છે. આ સમસ્યાને લઇને પાકિસ્તાનના મુનાબાવમાં બુધવારે સવારે ભારત-પાકિસ્તાનના તીડ નિયંત્રણ સંગઠનના અધિકારીઓ વચ્ચે 4 કલાક સુધી વાતચીત પણ ચાલી હતી.
આપને જણાવી દઇએ કે, 1993 બાદ તીડના ટોળાઓનો આ સૌથી મોટો હુમલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે, એવી પણ શક્યતા છે કે બંને દેશો સંયુક્ત રીતે આ મુશ્કેલીનો સામનો કરશે. ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે મુનાબાવમાં આશરે ચાર કલાક ચાલેલી આ બેઠકમાં વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
તીડના કારણે પાકિસ્તાનના ખેડૂતોના ખેતરને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે તથા મોટા ભાગનો પાક નાશ પામ્યો છે. તો આ તરફ ભારતમાં પણ ચિંતાનો વિષય તીડ બન્યા છે. એક તરફ વરસાદનો માહોલ તથા વાવાઝોડાને જોતા તીડ રાજસ્થાન તરફ પણ આવી શકે છે તેવી શક્યતાઓ જાણકારોએ વ્યક્ત કરી છે.