સરહદ પર BSFની સજ્જડ કાર્યવાહીથી ભોં ભાળી ગયેલા પાકિસ્તાને ભારતને ગોળીબાર બંધ કરવાની આજીજી કરી.હજુ એના 24 કલાક પણ ના વીત્યા ત્યાં નાપાક પાકિસ્તાને પોતાનો મૂળ રંગ દેખાડવાનું શરૂ કરી દીધું. રવિવારે મોડી રાત્રે ફરીવાર પાકિસ્તાને ગોળીબારી અને તોપમારો શરૂ કરી દીધો. જો કે ભારત એમ ગાજ્યો જાય તેમ નથી ઈંટનો જવાબ પથ્થરથી દેવા માટે ભારત તેયાર છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પોતાની અવરચંડાઈમાંથી બહાર નથી આવી રહ્યું.ગઈકાલે પાકિસ્તાને કશી જ ઉશ્કેરણી વિના જ ફાયરિંગ કરતા ભારતીય જવાનોએ કડક કાર્યવાહી કરી હતી.આ કાર્યવાહીમાં પાકિસ્તાનના બંકરોને ભારતે ધ્વસ્ત કરી દીધાં હતા. ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને કાર્યવાહી રોકવાની રીતસર આજીજી પણ કરી હતી. ભારતે દયા દાખવી ફાયરિંગ રોકી દીધું તો રાત પડતાં જ નાપાક પાકિસ્તાને પોતાનો રંગ દેખાડયો અને ફરી ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને અરનિયા સેક્ટરમાં ભારે ફાયરિંગ કર્યું હતું. જેમાં એક પોલીસ સ્ટેશન પર પાકિસ્તાની મોર્ટાર આવીને પડતાં એક પોલીસકર્મી ઘાયલ પણ થયો છે. જ્યારે અન્યનો બચાવ થયો છે તો પોલીસ સ્ટેશનમાં ભારે નુકસાન પહોંચ્યું છે.
આપને જણાવી દઇએ કે સરહદને પેલેપારથી પોતાની નાપાક હરકતો ચાલુ રાખતાં પાકિસ્તાને રવિવારે મોડી રાત્રે ફાઈરિંગ શરૂ કરી દીધુ હતું. પાકિસ્તાની રેન્જર્સે જમ્મૂ અને સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદે ઉશ્કેરણી વગર જ સતત ગોળીબાર ચાલુ રાખ્યો હતો. પાકિસ્તાની સેનાએ રવિવારે મોડી રાત્રે જમ્મૂ-કાશ્મીરના અરણિયા રામગઢ અને ચામલિયાલમાં બીએસએફની ચોકીઓ પર ગોળીબારી કરી હતી.
એવું મનાઈ રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શનિવારે સંપન્ન થયેલી જમ્મૂ-કાશ્મીર મુલાકાતને ધ્યાને રાખીને પાકિસ્તાન તરફથી ફાયરિંગની ઘટનામાં વધારો થયો છે અને એમ પણ જમ્મૂ કાશ્મીરમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય સીમા અને અંકુશ રેખા પર પાકિસ્તાન તરફથી ગોળીબારી અને તોપમારાની ઘટનામાં વધારો થયો છે. સીમા પારથી 700થી વધુ ફાયરિંગની ઘટનામાં ભારત તરફી 18 સુરક્ષાકર્મીઓ સહિત 38 લોકો ઘાયલ થયા છે અને હવે નાપાક પાકિસ્તાને ભારતને ફાયરિંગ રોકવાની અપીલ કરીને ફરી વખત સીઝ ફાયરનો ભંગ કર્યો છે.
જમ્મૂ કશ્મીરના સીએમ મહેબૂબા મુફતીની અપીલ બાદ સરકારે જમ્મૂ-કાશ્મીરમાં રમજાન માસ દરમિયાન શરતી એક તરફી સીઝફાયરની જાહેરાત કરી હતી. પરંતુ પાકિસ્તાને શરત ન પાળતાં હવે ભારતીય સુરક્ષા દળ બગડતી કાનૂન-વ્યવસ્થાની સ્થિતિમાં જરૂરી કાર્યવાહી કરવા સ્વતંત્ર છે.