ભારત-પાક.ના સંબંધો તણાવપૂર્ણ હોવા છતાં પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ ઓક્ટોબરમાં ભારતમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં આતંકવાદ વિરોધી કવાયતમાં સામેલ થશે.
ભારત અને પાકિસ્તાનની સેના સાથે જોવા મળશે
પાકિસ્તાન આતંકવાદ વિરોધી કવાયતમાં સામેલ થશે
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં ભાગ લેશે પાકિસ્તાન
ભારત-પાક.ના સંબંધો તણાવપૂર્ણ હોવા છતાં પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ ઓક્ટોબરમાં ભારતમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) આતંકવાદ વિરોધી કવાયતમાં સામેલ થશે. આ વર્ષે ભારત દ્વારા આતંકવાદ સામેની કવાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનની સૈન્ય ટુકડી પહેલીવાર ભારત આવી કોઇ પણ કવાયતમાં ભાગ લેવા આવશે.
એક સાથે જોવા મળશે ભારત-પાક સેના
અહેવાલ મુજબ પાકિસ્તાન અને ભારતીય સૈનિકોએ આતંકવાદ વિરોધી કવાયતમાં સાથે મળીને ભાગ લીધો છે, પરંતુ આ પહેલીવાર હશે જ્યારે પાકિસ્તાન ભારતમાં આવી કવાયતમાં ભાગ લેશે.
આ કવાયત ઓક્ટોબરમાં યોજાશે
પાકિસ્તાન એસસીઓના પ્રાદેશિક આતંકવાદ વિરોધી ફ્રેમવર્ક (આરએટીએસ) હેઠળ આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી કવાયતમાં ભાગ લેશે, એમ વિદેશ કાર્યાલયના પ્રવક્તા અસીમ ઇફ્તિખારને ટાંકીને શુક્રવારે અખબારે જણાવ્યું હતું.
ઘણા દેશો ભાગ લઈ રહ્યા છે
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આ કવાયત ઓક્ટોબરમાં ભારતના માનેસરમાં યોજાશે અને પાકિસ્તાન સભ્ય હોવાથી અમે તેમાં ભાગ લઈશું."માનેસરમાં યોજાનાર આ અભ્યાસમાં ભારત સહીત રશિયા, ચીન, પાકિસ્તાન, ઈરાન, કઝાકીસ્તાન, તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન ભાગ લેશે.