ભારતને યુદ્ધ માટેની ધમકી અને પરમાણુ હુમલાની ધાક બતાવનારું પાકિસ્તાન આખરે નીચા મોઢે વાતચીત કરવા આવી ચૂક્યું છે. કાશ્મીર મુદ્દા પર દુનિયાભરમાં પોતાનો દુષ્પ્રચાર કરવામાં નાકામયાબ રહ્યા બાદ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે પાકિસ્તાનને ભારત સાથે દ્વિપક્ષીય વાતચીત કરવામાં કોઈ સમસ્યા નથી.
વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને ક્યારેય વાતચીત કરવાની મનાઈ કરી નથી. આપને જણાવી દઈએ કે પાકિસ્તાનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે થોડા દિવસો પહેલાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યું હતું કે જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 ખતમ કર્યા બાદ હવે ભારત સાથે કોઈ વાતચીત થઈ શકશે નહીં. શાહ મહેમૂદ કુરેશીએ વાર્તાની શરૂઆત કરતાં કહ્યું કે જો તેમાં કોઈ ત્રીજું મધ્યસ્થતા કરે છે તો પાકિસ્તાનને આનંદ થશે. જો કે તેઓએ જણાવ્યું છે કે ભારતની તરફથી તેમને વાતચીતનો કોઈ માહોલ જોવા મળી રહ્યો નથી. કુરેશીએ કહ્યું કે કાશ્મીર મામલે ત્રણ પક્ષ છે. ભારત-પાકિસ્તાન અને કાશ્મીર. વાત શરૂ કરવા માટે પણ નજરકેદ કરવામાં આવેલા કાશ્મીરી નેતાઓને મુક્ત કરવામાં આવે.
કુરેશીએ વાતચીતને માટે એકપક્ષીય મત રાખતાં જણાવ્યું કે તેઓ કાશ્મીરી નેતૃત્વને મળી શકે તે માટેની છૂટ આપવામાં આવે જેથી તેઓ વાત કરી શકે અને સાથે કાશ્મીરી નેતૃત્વ પર વાતચીત માટે ભાર મૂકી શકે. શાહ મહેમૂદ કુરેશીનું આ નિવેદન હાલના દિવસોમાં પાકિસ્તાનની વિદેશ નીતિમાં મોટો બદલાવ છે. આ નિવેદન પહેલાં પાકિસ્તાનના હુક્મરાન ભારતની સાથે સામાન્ય સંબંધોની તમામ સંભાવના નકારી ચૂક્યા હતા અને તેઓ પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રૂપે પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યા હતા.
કાશ્મીર મુદ્દે પાકિસ્તાને શક્ય હોય તેટલી દુનિયાને ભડકાવવાની કોશિશ કરી. પાકિસ્તાન દુનિયાના તાકાતવર દેશો પાસે પણ ગયું. ઈસ્લામિક દેશના સંગઠન ઓઆઈસીને પણ ભલામણ કરી. માનવઅધિકાર સંગઠનની પાસે જમ્મૂ કાશ્મીરની વાતો કરી. પણ પાકિસ્તાનના વલણ અને જૂના રેકોર્ડથી માહિતગાર દુનિયાએ પડોશી દેશના તર્ક વિતર્ક પર ધ્યાન આપ્યું નહીં. રૂસ, ફ્રાંસ, અમેરિકા અને યૂએઈ જેવા દેશોએ તો કહ્યું કે કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય છે. તેમાં કોઈની દખલની જરૂર નથી. આ સિવાય આ દેશોએ એ પણ કહ્યું કે આર્ટિકલ 370 પર લેવામાં આવેલો નિર્ણય ભારતનો આંતરિક મુદ્દો છે.
અનેક દેશોથી નિરાશા મેળવ્યા બાદ પાકિસ્તાને ભારતને વાતચીતની ઓફર આપી છે. શુક્રવારે ન્યૂયોર્ક ટાઈમ્સમાં લખેલા એક લેખમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ વાતચીતનો સંકેત આપ્યો હતો. જો કે ઈમરાન ખાને આ માટે એવી શરત રાખી કે જે ભારતને ભાગ્યે જ મંજૂર હોય. ઈમરાન ખાને લખ્યું કે વાતચીત માટે જરૂરી છે કે ભારત જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય પર ફરીથી વિચાર કરે.