પુલવામા હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીને લઈને પાકિસ્તાન દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડર્યુ હોય એવી આશંકા છે. પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પરથી સતત વધતું દબાણ અને ભારતની જવાબી કાર્યવાહીથી ડરેલા પાકિસ્તાને પણ યુધ્ધની તૈયારી શરૂ કરી દીધી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરૂવારે નેશનલ સિક્યોરીટી કમિટી સાથે બેઠક કરી અને પાકિસ્તાનની સેનાને ભારત તરફથી થનારી કાર્યવાહીને લઇને તૈયાર રહેવા જણાવ્યું.
એટલું જ નહીં પાકિસ્તાન એટલી હદે ડરી ગયું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને નિયંત્રણ રેખા (LoC)ની આસપાસના ગામોના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.
જેને લઇને એડવાઇઝરી જારી કરી છે. ભારત સાથે વધતા તણાવ બાદ પીઓકેમાં સ્થાનિક પ્રશાસનની હોસ્પિટલમાં એક નોટિસ મોકલવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે યુધ્ધ થાય તો એવા સમયે હોસ્પિટલ મદદ માટે તૈયાર રહે.
પાકિસ્તાને ભારત સાથેના યુધ્ધની તૈયારી શરૂ કરી દીધી છે. 21મીએ પીઓકેની સરકાર દ્વારા સરહદ પર આવેલા નીલમ ઝેલમ રાવલકોટ હવેલી કોટલી અને ભિંબરમાં એક એડવાઇઝરી જારી કરતાં જણાવ્યું છે કે ભારત તરફી થનારા હુમલાને લઇને અલર્ટ રહેવું.
પાકિસ્તાન સરકારે ભારત તરફથી યુધ્ધની આશંકા વચ્ચે લોકોને સુરક્ષિત સ્થાન પર જવા સલાહ આપી છે. પાકિસ્તાન સરકારે નોટિસ જારી કરતાં લોકોને જણાવ્યું છે કે તેઓ LoC પાસે કારણ વગર ન જાય અને રાત્રે જરૂરિયાત હોય તો જ લાઇટ ચાલુ કરે.