રાજસ્થાનમાં ફરીથી એક નવી રાજકીય ખીચડી રંધાઈ રહી હોવાના એંધાણ છે. સચિનની ગાંધી પરિવારના નબીરાઓ સાથેની ફરી મુલાકાત બાદ પાયલોટ એન્ડ કંપનીની કોંગ્રેસ વપસીની અટકળો ફરીથી તેજ બની ગઈ છે.
શું સચિન પાયલોટ એન્ડ કંપનીપાછા ફરશે કોંગ્રેસમાં?
અશોક ગહલોતને કઇ રીતે મનાવી રાખશે કોંગ્રેસ?
બળવાખોરો પર સખત એક્શનની કરાઇ છે ડિમાન્ડ
રાજસ્થાનમાં વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલાં, પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ હતી. પાર્ટીની અંદર બળવો કરી ચૂકેલા સચિન પાયલટે સોમવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત કરી હતી. એવા સંકેત મળી રહ્યા છે કે આખરે સચિનને કોંગ્રેસ મનાવવામાં સફળ રહી છે.
14 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યુંછે સત્ર
રાજસ્થાનમાં 14 ઓગસ્ટથી વિધાનસભાનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં સચિન પાયલોટ ગ્રૂપના સામેલ થવાની શક્યતાઓ વધી ગઈ છે. આ પહેલા જો કે સચિન પાયલોટ અને ગહેલોત વચ્ચે કાનૂની જંગ પણ તેજ બની હતી. જો કે આ સમયે સચિન પાયલોટે રાહુલ ગાંધી અને પ્રિયંકા સાથે મુલાકાત કરતાં આખરે ઘીના ઠામમાં ઘી પડી રહેવાની શક્યતાઓ જોવાઈ રહી છે, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પ્રિયંકા ગાંધીનું નામ ઉભરીને બહાર આવ્યું હતું કેમ કે સચિનનાં બળવા પછી પણ પ્રિયંકા સતત સચિન સાથે ટેલિફોનિક સંપર્કમાં હતા.
ગહલોત ગ્રૂપની માંગણી, બળવાખોરો પર લેવાય એક્શન
આ સમયે રાજસ્થાનમાં અત્યાર સુધી રિસોર્ટ પોલિટીક્સની ચરમસીમા જોવા મળી હતી. સચિન પાયલોટ અને ગ્રૂપના લોકો હરિયાણામાં એક રિસોર્ટમાં રોકાયા હતા. જ્યારે હજી વધુ ધારાસભ્યો તૂટવાની શક્યતાઓ લાગતાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત તેના સમર્થિત ધારાસભ્યો સાથે એક જગ્યાએ થી બીજી જગ્યાએ એમ ચલક ચલાણું રમી રહ્યા હતા. ગહલોત ગ્રૂપના ધારાસભ્ય દળની મિટિંગમાં કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડે સામેલ થયા હતા. જેમાં ગહલોત પક્ષના લોકોએ બળવાખોરો પર એક્શન લેવામાં આવે તેવી માંગણી કરી હતી જેને પ્રબહરી અવિનાશ પાંડે એ પણ મંજૂર રાખી હોવાનું જાણવા મળ્યું હતું.
હવે શું થશે?
ઉલ્લેખનીય છે કે સચીન પાયલોટ અને અશોક ગહલોત વચ્ચે સારા સંબંધો નથી. જ્યારથી રાજસ્થાનમાં સરકાર રચાણી ત્યારથી જ બંને વચ્ચેનો અણબનાવ જાહેર થવા લાગ્યો હતો. પહેલા મુખ્યમંત્રી પદ બાબતે પછી લોકસભા ચૂંટણીમાં ટિકિટોની વહેંચણી અને પ્રચાર સમયે પણ આ વિવાદ સામે આવ્યો હતો. આ પછી રાજસ્થાન એસઓજીની નોટિસ અને બે વ્યક્તિની ધરપકડ બાદ સચિન ખૂલીને સામે આવ્યા હતે અને સમગ્ર ઘટનાક્રમ શરૂ થયો હતો.
સચિનને ફરી નહીં બનાવે નાયબ સીએમ
જો ફરીથી સચિન કોંગ્રેસમાં રહેવાનું ધારે છે તો પાર્ટી તેમને ફરીથી નાયબ મુખ્યમંત્રી બનાવશે નહીં તે નક્કી વાત છે. સામે અશોક ગહલોતનું આલાકમાન પર પ્રચંડ દબાણ રહેશે કે સચિન અને તેના ગ્રુપ પર એક કડક એક્શન લેવામાં આવે. માટે જો કોંગ્રેસ હાલ તત્પૂરતી સચિનને મનાવવામાં સફળ થઈ ગઈ હોય તો પણ રાજસ્થાનમાં કોંગ્રેસ માટે મુશ્કેલી ખતમ થવાની નથી. સચિન કઇ શરતો પર રાજી થાય અને તે હજી બહાર આવ્યું નથી. આમ રાજસ્થાનમાં કોંગ્રેસ માટે એક બાજુ કૂવો અને એક બાજુ ખાઈ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.