બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ‘પપ્પા અહીં સ્વેટર સારા મળે છે, તમારા માટે લાવું?’, મોત પહેલા આ હતા શૈલેષભાઈના શબ્દો
Last Updated: 12:01 PM, 24 April 2025
Pahalgam Terror Attack : 22 એપ્રિલ અને મંગળવારનો દિવસ સુરતના કળથીયા પરિવાર માટે કાળ બની ગયો. વાસ્તવમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા તેમાં સુરતના શૈલેષભાઈ કળથીયાએ પણ જીવ ગુમાવ્યો છે. આજે સવારે મૃતક શૈલેષભાઈ કળથીયાની આજે સવારે અંતિમ યાત્રા નીકળી હતી. આજે શૈલેષભાઈ કળથીયાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મળતી માહિતી પ્રમાણે શૈલેષભાઈ કળથીયાએ ઘટનાના એક દિવસ પહેલા જ સુરતમાં તેમના પિતાને ફોન કર્યો અને સ્વેટર લાવવાની વાત કરી હતી. જોકે સ્વેટરની જગ્યાએ તેમના વહાલસોયા દીકરાનો મૃતદેહ ઘરે આવતા પરિજનો ભાંગી પડ્યા છે.
ADVERTISEMENT
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયાએ પણ જીવ ગુમાવ્યો હતો. વિગતો મુજબ આતંકીઓએ શૈલેષભાઈને છાતીમાં જ ગોળી મારી હતી, તેમના મૃતદેહને મોડી રાત્રે સુરત લવાયો હતો. મોટા વરાછાના શૈલેષ હિંમતભાઈ કળથિયા પત્ની અને બાળકો સાથે રજાની ઉજવણી કરતાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ગયા હતા. જ્યાં આતંકવાદી હુમલો થતાં શૈલેષ કળથિયાનું મોત થયું છે. આ તરફ હવે મૃતક શૈલેષ કળથિયાના પિતા હિંમતભાઈ કળથિયાએ શોક વ્યક્ત કરી ખૂબ જ લાગણીસભર વાત કરી હતી.
ગોઝારી ઘટનાના એક દિવસ પહેલા ફોનમાં કીધું, પપ્પા અહીં સ્વેટર સારા મળે છે....
ADVERTISEMENT
પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મોતને ભેટેલ શૈલેષ કળથિયાના પિતા હિંમતભાઈ કળથિયાએ કહ્યું કે, મારે શૈલેષ સાથે સોમવારે વાત થઈ હતી. સોમવારે તેનો ફોન આવ્યો હતો. આ દરમિયાન શૈલેષે મને પૂછ્યું કે, પપ્પા અહીં સ્વેટર સારા મળે છે તમારા માટે લઇ આવું ? મેં હા પાડી હતી અને પૂછ્યું કે ફરવાની મજા આવે છે ને? જે બાદમાં દીકરા અને દીકરી સાથે વાત કરી હતી.
5 દિવસનું પેકેજ, 23 તારીખે પરત ફરવાના હતા પણ....
મૃતક શૈલેષ કળથિયાના પિતા હિંમતભાઈ કળથિયાએ કહ્યું કે, શૈલેષ અને પરિવાર મુંબઇથી કાશ્મીર ફરવા ગયા હતા. 5 દિવસનું પેકેજ હોવાથી 18 તારીખે મુંબઇથી નીકળ્યા હતા અને આજે 23 તારીખે પાછા ફરવાના હતા પણ તે પહેલાં જ મારા દીકરાનું મૃત્યુ થઈ ગયું. તેમણે લાગણીસભર અને આક્રોશ સાથે કહ્યું કે, હવે આપણે પણ આતંકીઓને એકતા બતાવવાનો સમય આવી ગયો છે.
પપ્પા માતાજીની માનતા રાખી લો કે શૈલેષને કંઈ થાય નહીં ...
હિંમતભાઈ કળથિયાએ ઉમેર્યું કે, મારે મંગળવારે રાત્રે શૈલેષની પત્ની શીતલ સાથે વાત થઈ હતી. તેમણે મને કહ્યું હતું કે, પપ્પા માતાજીની માનતા રાખી લો કે શૈલેષને કંઈ થાય નહીં. આ સાથે તેમણે કહ્યું કે, જ્યારે આતંકીઓએ શૈલેષને ગોળી મારી ત્યારે તેની પત્ની અને દીકરો-દીકરી સાથે જ હતા. ગોળી વાગ્યા પછી જમીન પર શૈલેષ પટકાયો ત્યારે તેમની પત્ની શીતલ 10 મિનિટ તેમની સાથે હતી અને પાણી પીવડાવ્યું હતું પછી આર્મી આવી અને શૈલેષને હોસ્પિટલ લઇ ગઈ હતી. જ્યારે શીતલ અને સંતાનોને હોટલ લઇ જવામાં આવ્યાં હતાં. જોકે શીતલને શૈલેષના મૃત્યુની જાણ કરવામાં આવી ન હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.