પાટીદાર અનામત આંદોલનને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં છે. મહત્વનું છે કે, અનામત આંદોલન સમયે પાટીદારો ઉપર થયેલા કેસ પરત ખેંચવા માટે સરકારે ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો. ત્યારે ત્રણ મહિના પૂર્ણ થતા PAAS ની આજે અમદાવાદમાં મહત્વની બેઠક યોજાશે.
PAASની આજે અમદાવાદમાં મહત્વની બેઠક
આંદોલન સમયે પાટીદારો ઉપર થયેલા કેસ પાછા ખેંચવા માંગ
સરકારે કેસ પરત ખેંચવા 3 મહિનાનો સમય માંગ્યો હતો
તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો ઉપર થયેલા કેસ પરત ખેંચવાની છેલ્લાં કેટલાંય સમયથી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે સરકારે અગાઉ આ કેસ પરત ખેંચવા 3 મહિનાનો સમય માંગ્યો હતો. આથી, ત્રણ મહિના પૂર્ણ થતા જ ફરીથી રાજ્ય સરકાર ઉપર દબાણ લાવવા આજે PAAS ની મહત્વની બેઠક યોજવામાં આવશે.
આ બેઠકનો 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલાં 'દબાણનું રાજકારણ' તરફ ઇશારો
આ બેઠક 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલાં 'દબાણનું રાજકારણ' તરફ ઇશારો કરી રહી છે. હાર્દિક પટેલ તેમજ અલ્પેશ કથિરીયાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાટીદાર આંદોલન સમયના કેસ જો પરત નહીં ખેંચાય તો આંદોલન કરવાની હાર્દિક પટેલે ચિમકી ઉચ્ચારી હતી. જેમાં તારીખ 23 માર્ચ સુધીમાં કેસ પરત ખેંચવાનો નિર્ણય નહીં થાય તો હાર્દિક આંદોલન કરશે. પાટીદાર ધારાસભ્યોને ગુલાબનું ફૂલ આપીને રજૂઆતો કરીશું તેમ હાર્દિકે કહ્યું હતું. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, 6 માર્ચથી સંઘર્ષના સાથી તરીકેનો સમાજ કાર્યક્રમ કરાશે. પાટીદારો વિરુદ્ધના કેસ પરત ખેંચવાનું 23 માર્ચ સુધી હાર્દિક પટેલે સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું.
અગાઉ હાર્દિકે કહ્યું હતું, 'જેમની પર કેસ થયા છે તેઓ સરકારી નોકરી માટે અરજી નથી કરી શકતા'
વધુમાં હાર્દિકે કહ્યું હતું કે, જેમની પર કેસ થયા છે તેઓ સરકારી નોકરી માટે અરજી નથી કરી શકતા. આંદોલનથી ગુજરાતના તમામ વર્ગના લોકોને લાભ મળ્યાં છે. પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચવા નરેશ પટેલ પણ રજૂઆત કરી ચૂક્યાં છે. આંદોલન સમયના કેસ પરત ખેંચવા પાટીદાર સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે બેઠક પણ કરી હતી છતાં પણ રાજ્યમાં ચારથી પાંચ હજાર પાટીદારો સામે કેસ હજુ સુધી પરત નથી ખેંચાયા.