સુરત: પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ફરી એક વખત ધરપકડ કરી છે. મિત્ર આશિષ વધાસિયાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા અલ્પેશની સુરત ક્રાઈમબ્રાન્ચે વેલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી છે.
મહત્વનું છે કે અલ્પેશ કથિરીયાએ ક્રાઈમ બ્રાન્ચમાં જઈને દાદાગીરી કરી હતી અને રાજગદ્રોહના કેસમાં કોર્ટે જામીન પણ રદ્દ કર્યા હતા તે બાદ અલ્પેશ કથીરિયાએ હાઈકોર્ટમાં કાયમી જામીન માટે અરજી દાખલ કરી હતી.
જામીન રદ્દ કરાયા બાદ હતા અંડરગ્રાઉન્ડ
પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાના કોર્ટે જામીન રદ કર્યા છે. આ મામલે પોલીસ કમિશનર સતિષ શર્માએ નિવેદન આપ્યું છે. શર્માએ કહ્યું કે અલ્પેશે સતત કાયદાનો ભંગ કરતા તેની સામે અરજી કરી હતી અને કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે માન્ય રાખીશું અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.
અલ્પેશ કથીરિયાની કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે. પોલીસ સામે અભદ્ર ભાષામાં વાત કરતો વીડિયો પણ વાયરલ થયો હતો. આ મામલે તે હાઈકોર્ટમાં જઈ શકે છે અને અમે ત્યા પણ અમારો પક્ષ રાખીશું. ઉલ્લેખનિય છે કે સુરત પોલીસે જામીન રદ કરવા અરજી કરી હતી. જેથી સુરત કોર્ટે અલ્પેશ કથિરીયાના જામીન રદ કર્યા છે. તાજેતરમાં અલ્પેશને રાજદ્રોહ કેસમાં શરતી જામીન મળ્યા હતા.
આ બાબત પર અલ્પેશના વકીલે જણાવ્યું છે કે અમે હાઈકોર્ટમાં આ નિર્ણયને ચેલેન્જ કરીશુ. આપને જણાવી દઇએ કે અમરોલી પોલીસ મથકે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. થોડા સમય પહેલા અલ્પેશનાં જામીન મંજૂર કરાતાં અલ્પેશને જેલમુકત કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે રાજદ્રોહ કેસ મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કન્વીનર અલ્પેશ કથિરીયાને રાજદ્રોહના કેસમાં જામીન મળી ગયા હતા. ગુજરાત હાઈકોર્ટે અલ્પેશના જામીન મંજૂર કર્યા હતા. જો કે આજરોજ મિત્ર આશિષ વધાસિયાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા અલ્પેશની સુરત ક્રાઈમબ્રાન્ચે વેલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.