રાજદ્રોહ કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા છે. હાઇકોર્ટે 6 માસ સુધી સુરતમાં નહીં પ્રવેશવાની શરતે જામીન આપ્યા છે. હાઇકોર્ટે આપેલી બાંહેધરીનું પાલન કરવાની શરત પર અલ્પેશના જામીન મંજૂર કરાયા છે.
ત્યારે આ મામલે પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સત્યનો વિજય થયો છે. અનામતની માંગણી પણ સરકારે સ્વીકારી છે. અલ્પેશની મુક્તિએ ન્યાયતંત્ર પર વિશ્વાસ બતાવે છે.
વધુમાં તેમણે કહ્યું કે, અલ્પેશના જામીન બિન અનામત સમાજનો વિજય થયો છે. આગામી સમયમાં મિટિંગ કરવામાં આવશે. અલ્પેશની હાજરમાં આ મિટિંગ યોજવામાં આવશે. અલ્પેશ કથીરિયા જ પાસનો એક માત્ર ચેહરો રહેશે.
મહત્વનું છે કે, પાટિદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયાને 6 મહિના સુધી સુરતમાં નહીં પ્રવેશવાની શરત સાથે જામીન મળ્યા છે.. સુરત પોલીસે રાજદ્રોહના કેસમાં આરોપી એવા અલ્પેશ કથિરીયાની 18 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી.
આ પહેલા પોલીસ સાથે ગેરવર્તન બાદ પોલીસે રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી માન્ય રાખીને અલ્પેશના જામીન રદ કરી દીધા હતા. ત્યારથી શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ ભૂગર્ભમાં હતો ત્યાર બાદ એક લગ્નમાં હાજરી આપવા ગયેલ અલ્પેશની ધરપકડ કરી હતી.
અલ્પેશ કથિરીયાની 3 વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. ત્રણ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયા વોન્ટેડ હતો. હાર્દિકના ઉપવાસ માટે અમદાવાદમાં આવેલા અલ્પેશ કથિરીયાને હાર્દિક પટેલના ઘરેથી બહાર નીકળતા જ ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી હતી.