પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાના કોર્ટે જામીન રદ કર્યા છે. આ મામલે પોલીસ કમિશનર સતિષ શર્માએ નિવેદન આપ્યું છે. શર્માએ કહ્યું કે અલ્પેશે સતત કાયદાનો ભંગ કરતા તેની સામે અરજી કરી હતી અને કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે માન્ય રાખીશું અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.
અલ્પેશ કથીરિયાની કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે. પોલીસ સામે અભદ્ર ભાષામાં વાત કરતો વીડિયો પણ વાયરલ થયો હતો. આ મામલે તે હાઈકોર્ટમાં જઈ શકે છે અને અમે ત્યા પણ અમારો પક્ષ રાખીશું.
ઉલ્લેખનિય છે કે સુરત પોલીસે જામીન રદ કરવા અરજી કરી હતી. જેથી સુરત કોર્ટે અલ્પેશ કથિરીયાના જામીન રદ કર્યા છે. તાજેતરમાં અલ્પેશને રાજદ્રોહ કેસમાં શરતી જામીન મળ્યા હતા.
આ બાબત પર અલ્પેશના વકીલે જણાવ્યું છે કે અમે હાઈકોર્ટમાં આ નિર્ણયને ચેલેન્જ કરીશુ. ઉલ્લેખનિય છે કે અમરોલી પોલીસ મથકે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. થોડા સમય પહેલા અલ્પેશનાં જામીન મંજૂર કરાતાં અલ્પેશને જેલમુકત કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે રાજદ્રોહ કેસ મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કન્વીનર અલ્પેશ કથિરીયાને રાજદ્રોહના કેસમાં જામીન મળી ગયા હતા. ગુજરાત હાઈકોર્ટે અલ્પેશના જામીન મંજૂર કર્યા હતા. સુરતના પાસ કન્વીનર અને હાર્દિક પટેલના નજીકના સાથી અલ્પેશ કથિરીયાની 3 વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી હતી. ત્રણ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયા વોન્ટેડ હતો. હાર્દિકના ઉપવાસ માટે અમદાવાદમાં આવેલા અલ્પેશ કથિરીયાને હાર્દિક પટેલના ઘરેથી બહાર નીકળતા જ ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી હતી.
અલ્પેશને ત્યારથી જેલમુક્તી મળી હતી પરંતુ જેલમુક્તીથી અત્યાર સુધીમાં તેની સામે 6 જેટલા કેસ નોંધાયા છે. સાથે અલ્પેશને સુરત પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. ત્યારબાદ પોલીસે તેના રાજદ્રોહ કેસના જામીન રદ કરવાની અરજી કરી હતી.