રાજનીતિમાં કંઈ પણ કાયમી નથી હોતું, રાજનીતિમાં સમયનું ચક્ર ખૂબ ઝડપથી ફરતું હોય છે અને જ્યારે તે ફરે છે ત્યારે ઘણું બદલાઈ જાય છે. દેશની રાજનીતિમાં ફરી એક વાર આ વાત આકાર લઈ રહી છે. કોંગ્રેસનાં કદાવર નેતા અને અને એક સમયના કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હાલમાં ધરપકડથી બચવા આગોતરા જામીનની માંગ કરતાં ફરી રહ્યાં હતાં. જો કે તેઓ હવે કોંગ્રેસ કાર્યાલય ખાતે હાજર થઇ ગયાં છે. ત્યારે જોઈએ તેમનો આ અહેવાલ.
આઈએનએક્સ મીડિયા લાંચ કેસમાં દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીન આપવાની ના પાડી તે પછી ચિદંબરમ સુપ્રીમ કોર્ટની શરણમાં ગયા હતાં. સુપ્રીમ કોર્ટે પણ આજે તેમની જામીન અરજીની સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. બીજી તરફ ઈડી અને સીબીઆઈ તેમની ધરપકડ કરવા તૈયારી કરી રહ્યાં છે. જો કે, આ ઘટનાના સંકેત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2018નાં વર્ષની પાંચમી ડિસેમ્બરે આપી દીધાં હતા. રાજસ્થાનના સુમેરપુરની એક રેલીમાં તેમણે ચિદંબરમનું નામ લીધા વગર તેમના પર ઘણા પ્રહારો કર્યા હતાં અને કહ્યું હતું કે એ મહાશયને એક દિવસ જેલમાં જવું જ પડશે.
કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો સરકાર પર તપાસ એજન્સીઓનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે. પરંતુ આ વાતના ભૂતકાળમાં જઈએ તો વિપક્ષ તરીકે ભાજપ પણ યુપીએ સરકાર પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવતી હતી. આજથી આઠ વર્ષ પહેલા દેશના ગૃહમંત્રી તરીકે પી. ચિદંબરમ હતાં. લગભગ 10 વર્ષ પહેલા આવું જ કંઈક વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ સાથે થયું હતું. જ્યારે સીબીઆઈ અને અન્ય તપાસ એજન્સી તેમની પાછળ પડી ગઈ હતી.
યુપીએ સરકારનાં કાર્યકાળ દરમિયાન જ્યારે દેશનાં ગૃહમંત્રી પદે પી. ચિદમ્બરમ હતાં તે વખતે શૌહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ તેની ચરમસીમા પર હતો અને આ મામલે સીબીઆઈએ 25 જુલાઈ, 2010નાં દિવસે અમિત શાહની ધરપકડ પણ કરી હતી. તે પછી અમિત શાહે 3 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. જો કે, 29 ઓક્ટોબર, 2010માં ગુજરાત હાઈકોર્ટે અમિત શાહને જામીન આપ્યાં. પરંતુ શાહને 2 વર્ષ સુધી ગુજરાત બહાર જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
2012 સુધી અમિત શાહ ગુજરાતની બહાર જ રહ્યાં. જો કે, 2012માં વિધાનસભા ચૂંટણી પહેલા તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી. સુપ્રીમ કોર્ટે અમિત શાહને ગુજરાત પ્રવેશની મંજૂરી આપી હતી. ત્યાર બાદ આ કેસ ગુજરાતથી ખસેડીને મુંબઈ શિફ્ટ કરાયો હતો. મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે લાંબી સુનાવણી બાદ 2015માં તેમને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધા હતાં.
ચિદંબરમ 29 નવેમ્બર, 2008થી 31 જુલાઈ, 2012 સુધી સુધી દેશના ગૃહમંત્રી રહ્યાં હતાં. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે સમયનું ચક્કર ફરી ગયું છે. હવે ચિદમ્બરમની જેલમાં જવાની ઘડીઓ ગણાઈ રહી છે. કહેવાય છે રાજનીતિમાં કાળનું ચક્ર ફરતા વાર નથી લાગતી.