પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોદી સરકારની કડક ટીકા કરનાર પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે ઇન્ડિયન એક્સપ્રેસમાં લખેલી તેમની કોલમમાં જનતા કર્ફ્યુને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ કોરોનાવાયરસ સામેની લડતમાં પ્રધાનમંત્રીનું સમર્થન કરવા કર્તવ્યબદ્ધ છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમે મોદી સરકારના કર્યા વખાણ
કોરોના મુદ્દે સરકારને આપ્યો ટેકો
કોંગ્રેસ સરકારના પૂર્વ નાણાંમંત્રીએ તેમની કોલમમાં લખ્યું હતું કે, "હું વડા પ્રધાનને ટેકો આપવા કર્તવ્યબદ્ધ છું અને હું તે કરીશ." તેમણે સરકારને શહેરો અને નગરોને અસ્થાયીરૂપે બંધ કરવાની માંગ કરી હતી. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપના 341 કેસ નોંધાયા છે.
પ્રધાનમંત્રી મોદીના પ્રયાસને બિરદાવ્યો
તેમણે વધુમાં લખ્યું કે, "મને પૂર્ણ ભરોસો છે કે પ્રધાનમંત્રી મોદી થોડા દિવસોમાં કડક સામાજિક અને આર્થિક પગલા લેશે. હું તમામ નગરો અને શહેરોમાં બે-ચાર અઠવાડિયા માટે હંગામી ધોરણે લોકડાઉનની માંગ કરું છું."
આર્થિક મંદીને લઇને કરી આ વાત
આ સાથે જ ચિદમ્બરમે અર્થતંત્ર પર થનારી કોરોના વાયરસની અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, "પીએમ મોદીએ કહ્યું હતું કે હાલની આર્થિક મંદી કોરોના વાયરસને કારણે શરૂ થઈ છે, તે યોગ્ય નથી. જીડીપીના વૃદ્ધિદરમાં ઘટાડાને કારણે આ સિલસિલો કોરોના વાયરસના સંકટ પહેલાનો છે."
કોરોના સંકટ માટે સરકારને દોષી ગણવી યોગ્ય નથી
પૂર્વ નાણાંમંત્રી ભાર મૂકતા કહ્યું હતું કે, આનાથી વ્યવસાયને અસર થશે. તેમણે કહ્યું કે ફેક્ટરીઓમાં છટણી અને કામચલાઉ નોકરી પર તલવાર લટકાઈ રહી છે. નાના ઉત્પાદકોને રોકડ પ્રવાહમાં મુશ્કેલી પડી રહી છે, કાચા માલના સપ્લાય પર અસર થઈ છે અને ધિરાણમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું, "આ બધું અર્થતંત્રમાં ઝડપથી ઘટાડાનું પરિણામ છે. મેં ઘટાડાને રોકવા માટે યોગ્ય નીતિઓ મૂકી છે અને પગલાં ન લેવા બદલ સરકારની ટીકા કરી. આ ટીકા ન્યાયી છે. જો કે, કોરોના સંકટ માટે સરકારને દોષી ઠેરવી શકાતી નથી. "
પીએમ-કિસાન યોજના હેઠળ મળતી રકમ બમણી કરવા કરી અપીલ
આ સાથે જ તેમણે સૂચન કર્યું હતું કે પીએમ-કિસાન યોજના હેઠળ મળતી રકમ બમણા કરી 12,000 કરી દેવી જોઈએ. તેમણે કહ્યું કે, સરકારે આગામી છ મહિનામાં કોરોના વાયરસને ઘટાડવા માટે રૂ. 5,૦૦,૦૦૦ કરોડની વ્યવસ્થા કરવી જોઈએ. ચિદમ્બરમે લખ્યું છે, "આ નૈતિક અને આર્થિકરૂપે જરૂરી છે અને આપણે પૈસાની વ્યવસ્થા કરી ખર્ચ કરવો જોઈએ."