કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે ગુરુવારે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે તે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR), સુધારેલા નાગરિકતા અધિનિયમ (CAA) અને NRC સાથે દેશભરમાં 'હિંદુ રાષ્ટ્ર' પ્રોજેક્ટને કોઈક રીતે અમલમાં મૂકવા માંગે છે. ડાબેરી-સમર્થિત સંગઠન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટરને સીએએ વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધા પછી, એક જર્મન વિદ્યાર્થી જેકબ લિન્ડન્ટલને ભારત છોડવાની સૂચના આપવા બદલ ટીકા પણ કરી હતી.
પી. ચિદમ્બરમે BJP પર સાધ્યું નિશાન
NRC , NPR , CAAને લઈને આપ્યું આ નિવેદન
'હિંદુ રાષ્ટ્ર'ને કોઈક રીતે અમલમાં મૂકવા માંગે છે ભાજપઃ પી. ચિદમ્બરમ
વિદ્યાર્થીઓના વિરોધને લઈને કહી આ વાત
પૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું, 'વિદ્યાર્થીએ ખરેખર આપણને એ યાદ કરાવીને વિરોધમાં ભાગ લીધો હતો કે જર્મની સરકારની મદદથી આઈઆઈટી મદ્રાસની રચના કરવામાં આવી હતી. આની યાદ અપાવવા બદલ આપણે તેમનો આભાર માનવો જોઈએ. પરંતુ તેમને દેશ છોડવાનું કહેવામાં આવ્યું. આઈઆઈટી ડિરેક્ટર ક્યાં ગયા? શું તે નિવૃત્ત છે? શું તે રજા પર છે? અથવા મૃત્યુ પામ્યા છે. "આ કાર્યક્રમમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) ના નેતા પ્રકાશ કરાત અને સાંસદ કનિમોઝીએ પણ હાજરી આપી હતી.
ભાજપ કોઈક રીતે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છેઃ ચિદમ્બરમ
ચિદમ્બરમે કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભાજપ સરકાર મોટા લોકમંતવ્ય સાથે સત્તા પર આવી ત્યારથી તે NPR , CAA અને NRC જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેઓ કોઈક રીતે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. જો હિન્દુ રાષ્ટ્રનો અમલ થાય તો તે માત્ર મુસ્લિમોને જ નહીં પરંતુ દલિતોને પણ નુકસાન પહોંચાડશે. ”તેમણે કહ્યું કે દેશભરમાં થઈ રહેલા સીએએ વિરુદ્ધ કરવામાં આવેલા પ્રદર્શનને સરકાર વિરુદ્ધ મુસ્લિમ તરીકે જોવું જોઈએ નહીં, કારણ કે આ જ સરકાર ઇચ્છે છે.