ગુજરાતમાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઓક્સિઝન પર છે. તો બીજી તરફ અન્ય રાજ્યોમાંથી પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. તેવામાં હોસ્પિટલોમાં ઓક્સિજનની ઘટ વર્તાઈ રહી છે. ત્યારે ભાવનગરના ઓક્સિજન ઉત્પાદકોએ પ્લાન્ટોમાં અપાતા ઓક્સિજનને ઘટાડી માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે.
ઓક્સિજનની ઘટ વચ્ચે ઉત્પાદકોનો મહત્વપૂર્ણ નિર્ણય
ઔદ્યોગિક પ્લાન્ટને અપાતા ઓક્સિજનમાં કર્યો ઘટાડો
80 ટકા ઓક્સિજન પહોંચાડવામાં આવે છે હોસ્પિટલો સુધી
રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, ભાવનગર સહિતના શહેરોમાં કોરોનાનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. રોજ રાજ્યમાં હજારો લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. તો મોટી સંખ્યામાં લોકો ઓક્સિજનના સહારે છે. તેવામાં હાલ હોસ્પિટલોમાં ઓક્સિજનની ઘટ વર્તાઈ રહી છે. કારણ કે, એક તરફ કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ જેટલા પ્રમાણમાં ઓક્સિજન જોઈએ તેટલા પ્રમાણમાં નથી મળી રહ્યો.
ઉદ્યોગોને અપાતા ઓક્સિજનમાં 50 ટકાનો ઘટાડો
હાલ રાજ્યમાં સૌથી વધુ ઓક્સિજનનું ઉત્પાદન ભાવનગર ખાતે થઈ રહ્યું છે. ભાવનગરમાં 25 જેટલા ઓક્સિજનની બોટલો ભરતા પ્લાન્ટ આવેલા છે. કારણ કે, અહીં શિપયાર્ડમાં જહાજ ભાંગવા માટે અને રોલિંગ મીલમાં પ્લેટો કાપવા માટે ઓક્સિજનની સૌથી વધુ જરૂર રહે છે. રોજ 10 હજાર બોટલ ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. પરંતુ હાલ રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂરીયાતને જોતા તમામ પ્લાન્ટના સત્તાધિશોએ 80 ટકા ઓક્સિજન મેડિકલ જરૂરીયાત માટે આપવાનું નક્કી કર્યું છે. તેમણે પ્લાન્ટો અને શિપયાર્ડમાં અપાતા ઓક્સિજનના પ્રમાણમાં 50 ટકાનો કાપ મુક્યો છે.
હોસ્પિટલો સુધી પુરતો ઓક્સિજન પહોંચાડવાનો નિર્ણય
મહત્વનું છે કે, હાલ ભાવનગર જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. તેવામાં ઓક્સિજનનો ઉપાડ પણ વધી ગયો છે. તેવામાં ઓક્સિજનના ઉત્પાદકોએ ઉદ્યોગોને અપાતા ઓક્સિજનમાં કાપ મુકીને હોસ્પિટલો સુધી પુરતો ઓક્સિજન પહોંચાડવાનો નિર્ણય લીધો છે. માત્ર નિર્ણય લીધો જ નથી કામગીરી પણ શરૂ દીધી છે. એટલે કે, સંકટ સમયે આ રીતે માનવતાને બચાવવા ઉદ્યોગકારોએ મોટું ઉદાહરણ પુરુ પાડ્યું છે.