સુરતમાં કોરોના વાયરસના કોહરામ વચ્ચે ઑક્સીજનની ડિમાન્ડ ઘટી છે અને બીજી તરફ સિવિલ અને સ્મીમેરમાં OPD ફરી શરૂ થઈ છે.
સુરતમાં કોરોના મહામારીથી આંશિક રાહત
ઓક્સિજનની માગ 220 MTથી ઘટી 195 MT થઇ
માગ ઘટવા છતાં 25 મેટ્રિક ટન જથ્થો ઓછો આવી રહ્યો છે
ગુજરાતમાં સતત વધતાં કોરોના વાયરસના કેસ વચ્ચે સૌથી વધારે કોહરામ સુરત અને અમદાવાદમાં જોવા મળ્યો હતો. સુરતમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ભયંકર થતી જઈ રહી છે ત્યારે આ મહામારીમાં સુરતના શ્વાસમાં શ્વાસ આવે તેવા રાહતના બે સમાચાર સામે આવી રહ્યા છે.
ગંભીર દર્દીઓની સંખ્યા ઘટતાં ઓક્સિજનની ડિમાન્ડ ઘટી
સુરતમાં કોરોના વાયરસનો સતત કહેર જોવાં મળી રહ્યો છે, પરિસ્થિતિ વિકટ છે અને હોસ્પિટલ તો શું સ્મશાનોમાં અત્યારે જગ્યા નથી ત્યારે સુરતને આંશિક રાહત મળી છે. સુરતમાં ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી રહી છે અને ઑક્સીજનની ડિમાન્ડ પણ ઘટી છે. સુરતમાં પહેલા જ્યાં 220 MT ઑક્સીજનની જરૂર પડતી હતી તે હવે ઘટીને 195 MT થઈ ગઈ છે. જોકે શહેરમાં હજુ પ માંગ કરતાં ઓછી ઑક્સીજન આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે કે ઑક્સીજનની કોઈ અછત જ નથી ત્યાં સુરત જે ઑક્સીજનનું મોટું ઉત્પાદક છે ત્યાં જ 25 મેટ્રિક ટન ઓછો ઑક્સીજન આપવામાં આવી રહ્યો છે.
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં OPD શરૂ કરાઇ
સુરતમાં કોરોના વાયરસના કારણે પીડાઈ રહેલા દર્દીઓ માટે આખરે સરકારે ફરીથી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં OPD શરૂ કરી છે. સિવિલમાં 103 દર્દીઓની OPDમાં તપાસ કરાઈ જેમાંથી 39 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય સ્મીમેરમાં 76 દર્દીઓની OPDમાં તપાસ કરાઈ અને 26 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.
કોરોના કેસમાં ધરખમ ઘટાડો (પહેલી મે,2021ના આંકડા)
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આખા એપ્રિલ મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે પણ 13847 કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 10582 દર્દીઓ રિકવર થઈ ગયા છે. જોકે ચિંતાની વાત છે કે ગુજરાતમાં મોતની સંખ્યા હજુ પણ વધુ છે, એક જ દિવસમાં 172 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં આજે 4980 કેસ નોંધાયા છે, મહત્વનું છે કે અહીં અગાઉના સમય કરતાં આંશિક ઘટાડો નોંધાયો છે, તો સાથે જ રાજ્યના અન્ય મહાનગરો જેમ કે સુરતમાં આજે 1795, રાજકોટમાં 605 અને વડોદરામાં 547 નવા કેસ આવ્યા છે. અમદાવાદમાં 21, વડોદરામાં 11, રાજકોટમાં 10 અને સુરતમાં 18 ના મોત નોંધાયા છે.