ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે લઘુમતી મતો વેરવિખેર જોવા મળી રહ્યા છે. તેનાથી કોંગ્રેસના ધબકારા વધી ગયા છે. અગાઉની વિધાનસભાની ચૂંટણીઓના ટ્રેન્ડ પર નજર કરીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થતો હતો, પરંતુ આ ચૂંટણીમાં ચિત્ર અલગ જ દેખાઈ રહ્યું છે. અહીં મુસ્લિમ વોટ બેંક પર કોંગ્રેસનું એકક્ષત્ર રાજ રહ્યું છે. આનું સૌથી મોટું કારણ એ છે કે મુસ્લિમો પાસે વિકલ્પોનો અભાવ હતો. આ ચૂંટણીમાં ચિત્ર બદલાયું હોય તેવું લાગી રહ્યું છે.
AIMIMએ ઘણી સીટો ઉતાર્યા ઉમેદવારો
આમ આદમી પાર્ટી મજબૂતીથી ગુજરાતની ચૂંટણી માટે પ્રચાર કરી છે, જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ ઘણી સીટો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
અમિત શાહ પર ઓવૈસીના પ્રહાર
આમ તો ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ માત્ર 14 ઉમેદવારોને જ મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ તેઓ લઘુમતીઓ સાથે સંબંધિત બાબતો પર ખુલીને બોલી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસી ભાજપને ખુલ્લેઆમ મુસ્લિમ વિરોધી ગણાવીને લઘુમતી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2002ના રમખાણોનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારે ઓવૈસીએ જ તેમના પર ખુલ્લેઆમ આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપે કર્યું ગુજરાતમાં શાંતિ સ્થાપવાનું કામઃ અમિત શાહ
અમિત શાહે એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે, વર્ષ 2002માં નરેન્દ્ર મોદીના સમયમાં તેમણે હિંસા કરવાની હિંમત કરી હતી. તેઓને એવો પાઠ ભણાવ્યો કે 20 વર્ષ થઈ ગયા, પરંતુ હજુ સુધી તેઓની કંઈ કરવાની હિંમત નથી થઈ. તોફાનીઓ ગુજરાતની બહાર ચાલ્યા ગયા. ભાજપે ગુજરાતમાં શાંતિ સ્થાપિત કરવાનું કામ કર્યું.
અમને બદનામ કરવાનું કામ કર્યુંઃ ઓવૈસી
અમિત શાહના આ નિવેદન પર આમ તો કોંગ્રેસની પ્રતિક્રિયા સૌથી પહેલા આવવી જોઈતી હતી, પરંતુ દેશની સૌથી જૂની પાર્ટીએ તેમાં વિલંબ કર્યો. આ તકનો લાભ સૌથી પહેલા અસદુદ્દીન ઓવૈસીએ ઝડપી લીધો. તેમણે એક રેલીને સંબોધિત કરતી વખતે અમિત શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપી. ઓવૈસીએ કહ્યું કે, હું ભારતના ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે તમે 2002માં જે પાઠ ભણાવ્યો હતો તે એ હતો કે બિલ્કીસ બાનો પર દુષ્કર્મ કરનારાઓને તમે છોડશો. આખા દેશમાં તમે અમને બદનામ કરવાનું કામ કર્યું.
ઓવૈસીની એન્ટ્રીથી સરળ બનશે ભાજપો રસ્તો?
વિરોધ પક્ષો ઘણીવાર ઓવૈસીની પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવે છે. તાજેતરમાં જ બિહારની ગોપાલગંજની પેટાચૂંટણી બાદ પણ આ આરોપો લાગ્યા હતા. 2017ની ગોધરા વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 293 મતોથી હરાવ્યા હતા. આ વિધાનસભાની ચૂંટણીમાં ઓવૈસીએ પણ આ બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. આવી સ્થિતિમાં મતોના વિભાજનની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેનો સીધો ફાયદો ભાજપને મળતો જોવા મળી રહ્યો છે.
ભાજપે આ વખતે એક પણ મુસ્લિમોને આપી નથી ટિકિટ
ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી 9 ટકા છે. આમ છતાં ભાજપે એક પણ મુસ્લિમને ટિકિટ આપી નથી. જ્યારે કોગ્રેસે 6 અને આમ આદમી પાર્ટીએ 2 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતતાર્યા છે. તો ઓવૈસીની પાર્ટીના લગભગ તમામ ઉમેદવારો મુસ્લિમ છે. આવી સ્થિતિમાં કોગ્રેસ પાર્ટીના હ્રદયના ધબકારા વધી ગયા છે. દેશની સૌથી જૂનામાં જૂની પાર્ટીને કેજરીવાલ અને ઓવૈસી જેવા બે-બે ખેલાડીઓના મેદાનમાં ઉતરવાથી લઘુમતીઓના મતોના વિભાજનનો ભય સતાવી રહ્યો છે.