રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે CAA મુદ્દે મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે આ કાયદાથી કોઈને કોઈ ખતરો નથી. દેશમાં મુસ્લિમ સમુદાયને ભ્રમિત કરવાનું આ કાવતરું છે.
તેમના આ નિવેદન ઉપર ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસલમીન AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તીખી પ્રતિક્રિયા આપી છે.
ભાજપે એવું નથી કહ્યું કે CAA + NRCનો એક સાથે અર્થ શું છે
તેમણે કહ્યું કે અમે કોઈ નાના બાળકો નથી કે અમને ફોસલાવી દેવાય. ભાજપે એવું નથી કહ્યું કે CAA + NRCનો એક સાથે અર્થ શું છે? જો તે ફક્ત મુસ્લિમો માટે જ નથી તો પછી બધા કાયદામાંથી ધર્મ શબ્દને દૂર કરો.
નાગરિકત્વનો નિર્ણય ધર્મના આધારે કરવામાં એવા તમામ કાયદાઓનો વિરોધ કરીશું
ઓવૈસીએ કહ્યું જ્યાં સુધી કાયદામાં પોતાને ભારતીય સાબિત કરવાની વાત છે ત્યાં સુધી અમે ફરીથી અને ફરીથી પ્રદર્શન કરતા રહીશું. અમે આવા તમામ કાયદાઓનો વિરોધ કરીશું, જેમાં લોકોના નાગરિકત્વનો નિર્ણય ધર્મના આધારે કરવામાં આવશે.
કોંગ્રેસ અને આરજેડી ઉપર પણ હુમલો
બિહારની ચૂંટણીના પગલે કોંગ્રેસ અને આરજેડી પર હુમલો કરતા ઓવૈસીએ કહ્યું કે મારે કોંગ્રેસ, આરજેડી અને તેમની કઠપૂતળીઓને પણ સ્પષ્ટ કરવું જોઈએ કે લોકો CAA સામેના વિરોધ દરમિયાન તમારું મૌન ભૂલી નહીં શકે. જ્યારે ભાજપના નેતાઓ સીમાંચલના લોકોને ઘુસણખોર કહેતા હતા, ત્યારે આરજેડી અને કોંગ્રેસે મોઢું બંધ રાખ્યું હતું.
સંઘના વડાએ કહ્યું કે જે લોકો ભારતના નાગરિક છે તેમના માટે આ કાયદામાં કોઈ ખતરો નથી. જો કોઈ બહારથી આવે છે અને ભારતનો નાગરિક બનવા માંગે છે, તો આ માટેની જોગવાઈઓ સરખી જ છે. તે પ્રક્રિયા જેવી હતી તેવી જ છે.