બદલાતી લાઇફસ્ટાઇલના કારણે વર્તમાન સમયમાં મેદસ્વી બાળકો ડાયાબિટિસ અને કેન્સર જેવી બીમારીઓના ભોગ બની રહ્યાં છે. જેનાથી માતા-પિતાએ સાવધ રહેવાની જરૂર છે.
મેદસ્વી બાળકોમાં બીમારીઓ વધવાનું જોખમ સૌથી વધારે
6 વર્ષની ઉંમરથી જ કેન્સર અને ડાયાબિટીસ જેવાં લક્ષણો દેખાય છે
સંશોધનમાં મેદસ્વી બાળકોને લઇ થયો ચોંકાવનારો ખુલાસો
દરેક માતા-પિતા એવું ઈચ્છે છે કે પોતાના બાળકો સ્વસ્થ રહે. જો કે ઘણી વખત ડાયટ પર ધ્યાન ન આપવાથી તેની અસર બાળકોના વજન પર પણ પડતી હોય છે અને જેના કારણે બીમારીઓમાં વધારો થવાનું જોખમ અનેક રીતે વધી જાય છે. એક રિસર્ચમાં એવો ખુલાસો થયો છે કે, જે બાળકો ખૂબ જ મેદસ્વી હોય છે તેઓએ 6 વર્ષની ઉંમર બાદ ઘણી સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બાળકો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે, જે બાળકોનું વજન વધારે છે તેઓની અંદર 6 વર્ષની ઉંમરથી જ કેન્સર, હૃદય રોગ અને ડાયાબિટીસ સંબંધિત લક્ષણો જોવા મળે છે.
જુઓ અભ્યાસમાં શું કહેવામાં આવ્યું?
અભ્યાસ માટે ડેનમાર્કના સંશોધકોએ 2થી 8 વર્ષની વયના લગભગ એક હજાર બાળકોને ટ્રેક કર્યા. આ તમામ બાળકોના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેમાં હેલ્ધી વજન ધરાવતા બાળકોની સરખામણીએ પ્રી-સ્કૂલ જનારા મેદસ્વી વાળા બાળકોમાં કોઇ વધારે જોખમ જોવા નથી મળ્યું. આ સાથે જ્યારે આ ટેસ્ટ 6 વર્ષના બાળકો માટે કરવામાં આવ્યું ત્યારે વધારે વજનવાળા અને પાતળા બાળકોમાં આ તફાવત સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
કોપનહેગન યુનિવર્સિટીના મુખ્ય સંશોધક ડૉ. ક્રિસ્ટીન ફ્રિથિઓફ-બોઝસેએ જણાવ્યું કે, 'બાળપણમાં જે બાળકોનું વજન વધારે હોય છે તેમને ભવિષ્યમાં હૃદય અને લિવરની બીમારી, ટાઇપ 2 ડાયાબિટીસ અને મેટાબોલિઝમ સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.'
સંશોધકોનું કહેવું છે કે, બાળપણમાં જે બાળકોનું વજન વધારે હોય છે, તેઓ મોટા થઈને મેદસ્વી બને છે. વધારે પડતી સ્થૂળતા ડાયાબિટીસ, હૃદય અને લિવર સંબંધિત રોગો અને અનેક પ્રકારના કેન્સરનું પણ જોખમ વધારે છે. જરૂરી છે કે તમે તંદુરસ્ત વજન અને સ્થૂળતા વચ્ચેનો તફાવત સમજો. યોગ્ય સારવારથી ભવિષ્યમાં બાળકોને આ બધી બીમારીઓથી બચાવી શકાય છે.
બાળકોને સ્થૂળતાથી કેવી રીતે બચાવશો?
સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ બાળકોને સ્થૂળતાથી બચાવવા માટે કેટલીક ખાસ ટિપ્સ આપી છે. તેઓનું કહેવું છે કે બાળકો હંમેશા પોતાના માતા-પિતાની વસ્તુઓ અપનાવવાનો પ્રયાસ કરે છે. જો તમે બાળકનું સ્વસ્થ વજન જાળવવા ઇચ્છતા હોવ તો જંક ફૂડના સેવનથી બચો. બાળકોને દરરોજ 60 મિનિટ સુધી શારીરિક પ્રવૃત્તિ કરવા પ્રોત્સાહિત કરો. બાળકને તેની ઉંમર પ્રમાણે જ ખોરાક આપો. તેમના આહારમાં આરોગ્યપ્રદ ભોજન (હેલ્ધી મીલ) ને સામેલ કરો. તદુપરાંત બાળકોને મોબાઇલ સ્ક્રીનથી દૂર રાખો અને તેઓને પૂરતી ઊંઘ લેવા દો.