સમગ્ર રાજ્યમાં તમને રિક્ષા અને સ્કૂલવાનમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ નજરે પડતા હશે. આ રિક્ષા અને વાન ચાલક દ્વારા નિયમનું ઉલ્લંઘન કરીને નિર્ધારિત સંખ્યા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. જેને લઇને અનેક વખત દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે શું છે સ્કૂલ વાન, બસ કે રિક્ષાને લઈને નિયમો? વાલીઓની શું છે માંગ?
તમારા બાળકને સ્કૂલવાનમાં મોકલતા પહેલા ચેતી જજો. અમદાવાદમાં ચાલુ સ્કૂલવાનમાંથી 3 બાળકો પટકાયા હોવાની ઘટના સામે આવી હતી. નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલની વાનના ડ્રાઈવરની ઘોર બેદરકારી સામે આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં એક બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે ગંભીર ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. મહત્વનું છે કે, આ સમગ્ર મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે હાલ તો આરટીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આવામાં અમને VTVGujarati.com ના એક વાચકે આ જ મુદ્દે પત્ર લખીને પોતાની વ્યથા ઠાલવી હતી. જેમાં સ્કૂલ, પોલીસ સહિત સ્કૂલ વાન ડ્રાઈવરને ફરિયાદ કરતાં કોઈ પણ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
એકથી નહીં ચાલે, આવા અનેક લોકોએ ફરિયાદ કરવી પડશે
એક વાલીએ પોતાની વેદના ઠાલતા કહ્યું કે 'મારી દીકરી જે વાનમાં જાય છે તે સ્કૂલવાનમાં 16થી 18 છોકરાઓ બેસાડે છે. એક વખત જ્યારે મેં સ્કૂલવાનના સંચાલકને ફરિયાદ કરી તો એવું થયા કરે એમ કરીને વાતને ટાળી દીધી, ડ્રાઇવરને કહું તો ડ્રાઇવર ગાળાગાળી કરવા માંડ્યો, દાદાગીરી કરવા લાગ્યો. ત્યારબાદ મેં 100 નંબર પર ફરિયાદ કરી તો પોલીસ આવીને મને કહે છે કે તમારી જોડે ટાઇમ છોકરાઓને મુકવા-લેવા આવવાનો... ના હોય તો આ બધા ચક્કરમાં ના પડશો.
હવે સાહેબ મારે શું કરવું, એ ખબર નથી પડતી.'
તમામ વાનમાં 20થી વધુ બાળકો ભરાતા હતા: વાલી
RTO દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જોકે પંચામૃત સ્કૂલમાં રોજની 8થી 10 સ્કૂલ વાન આવતી હોય છે. જેના સ્થાને આજે એક પણ સ્કૂલ વાન આવી નથી. તો વાલીઓએ આક્ષેપ કર્યો છે કે સ્કૂલ વાનના ચાલક દ્વારા એક વાનમાં 20 જેટલા બાળકો ભરવામાં આવે છે. જે ન ભરવા જોઈએ. આવા વાન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
4 દિવસથી 350થી વધુ સ્કૂલવાન કરાઇ જપ્ત
સુરતમાં ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા સ્કૂલવાન અને રિક્ષાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા 4 દિવસની કામગીરીમાં 350થી વધુ સ્કૂલવાન જપ્ત કરવામાં આવી હતી. સ્કૂલવાન ચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે નિયમ કરતા વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ વાનમાં બેસાડતા વાહનો સામે કાર્યવાહી કરવા આરટીઓ મક્કમ છે.
આપણે જાગૃત થવું પડશે
અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં એક પૂરપાટે જતી સ્કૂલ વાન ઝડપથી ટર્ન લેતા ત્રણ બાળકો રસ્તા પર પટકાયા હતાં. ત્યાર બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને પોલીસે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડ્રાઈવ શરૂ કરીને સ્કૂલોમાં જઈને વાહનો ચૅક કરવાનું શરૂ કર્યુ હતું. આવામાં પોલીસ અને તંત્ર નિયમોને આધારે ચૅકિંગ કરી રહ્યું છે ત્યારે એક નાગરિક તરીકે તમારી પણ ફરજ છે કે આ માટેના નિયમો શું છે અને જો કોઈ આ બાબતે કાયદાનો ભંગ કરે છે તો તમારે પણ તેના વિશે જાગૃત થઈને અવાજ ઉઠાવવો પડશે. ત્યારે સ્કૂલ વાન, બસ કે રિક્ષાને લઈને નિયમો શું કહે છે તે અમારા આજના Ek Vaat Kauના વીડિયોમાં.