સિવિલના સિપરિન્ટેન્ડન્ટ , DCP પ્રશાંત સુમ્બે, ડિંડોલીના PI સંક્રમિત
અમદાવાદની શાળાઓમાં અત્યાર સુધી 20 કેસ કોરોનાના નોંધાયા
સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસ વધતા તંત્ર ચિંતિત બન્યું છે. છેલ્લા 24 કલાકમાં 74 પોઝિટિવ કેસ બહાર આવતા ફરી બીજી લહેર વાળી સ્થિતિ નજર સામે તરી રહી છે. શાળાના વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ થતાં મોટી ઉપાદી માથા પર મંડારાઈ રહી છે. કલસ્ટર વિસ્તારો અઠવા ઝોનમાં સૌથી વધુ 37 કેસ, રાંદેર ઝોનમાં કોરોનાના 15 કેસ નોંધાયા છે.સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકર પણ સંક્રમિત થયા છે. સામે સુરત પોલીસના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સુરત ટ્રાફિક વિભાગના DCP પ્રશાંત સુંબે તેમજ ડિંડોલીના PI મહેન્દ્ર સાલુનકે પણ કોરોનાગ્રસ્ત થયા છે. બંને પોલીસ અધિકારીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જ્યારે સંપર્કમાં આવેલાની ટેસ્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર કોરોના સંક્રમણ વકર્યું
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણે જોર પકડયું છે. એક દિવસમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 59 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મહત્વનું છે કે રાજકોટ શહેરમાં 10 જયારે ગ્રામ્યમાં 18 કેસ કોરોનાના નોંધાયા છે.રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ઈથોપિયાની 23 વર્ષીય યુવતીને કોરોના થયો છે. ઓમિક્રોન હોવાની આશંકાએ યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વિદ્યાર્થીનીના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે.
અમદાવાદની શાળાઑમા કોરોના કેસમાં મોટો ઉછાળો
અમદાવાદની શાળાઓમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. અત્યાર સુધી અમદાવાદની શાળાઓમાં 20 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં અમદાવાદની 6 શાળામાં 9 કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદની 10 સ્કૂલમાં અત્યાર સુધી 20 કોરોના કેસ નોંધાયા છે. ઉદગમમાં 4, મહારાજ અગ્રસેન સ્કૂલમાં 4 કેસ, નિરમા સ્કૂલમાં 3 કેસ, સંત કબીર સ્કૂલમાં 2 કેસ નોંધાયા છે. જયારે નવકાર સ્કૂલમાં 1 કેસ, ઝેબર સ્કૂલમાં 1 કેસ, CN વિદ્યાલયમાં 1 કેસ, લોટસ સ્કૂલમાં 1 કેસ અને DPS બોપલમાં 1 અને ટર્ફ સ્કૂલમાં 1 કેસ નોંધાયો છે.
3 શહેરમાં ચિંતાજનક કેસમાં વધારો
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 571 કેસ સામે આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે, એક્ટિવ કેસની સંખ્યા 2371 સુધી પહોંચી ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ આવતા તંત્ર સાબદું બન્યું છે. રાહતના સમાચાર એ છે કે આજે કોઈ પણ કેસ ઑમિક્રૉનનો નોંધાયો નથી. આજે કોરોનાને માત આપીને 102 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે કોરોનાગ્રસ્ત 11 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.50 ટકા રહ્યો છે. જ્યારે રાજ્યભરમાં આજે 2.32 લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.