સમગ્ર દુનિયામાં થતા પ્રદૂષણથી મુત્યુ અંગે અમેરિકાની હેલ્થ ઇફેકટ્સ ઇન્સ્ટિટયૂટના સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2018ના રિપોર્ટ મુજબ 2016-17માં વિશ્વમાં વાયુ પ્રદૂષણના કારણે 60 લાખથી વધુ લોકોના અકાળે મોત થયા હતા.
60 લાખ લોકોમાંથી 30 લાખ કરતા પણ વધુ મોત ભારત અને ચીનમાં નોંધાયા હતા. આ બંને દેશોમાં પાર્ટિકયૂલેટ મેટર 2.5 ફેફસામાં જમા થઇને સૌથી વધારે નુકસાન કરી રહયું છે. વિશ્વમાં 2.45 અબજ લોકો પોતાના રહેઠાણની આસપાસ પ્રદૂષણનો ભોગ બને છે.
ભારતમાં આ ઘરેલું પ્રદૂષણની સમસ્યા ધરાવતા લોકોની સંખ્યા 56 કરોડ જયારે ચીનમાં 41 કરોડ છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં પ્રદૂષણથી થતા 25 ટકા મુત્યુનું કારણ ઘર તથા તેની આસપાસનું પ્રદૂષણ છે. જયારે ચીનમાં પણ ઘરેલું પ્રદૂષણથી થતા મોતનું પ્રમાણ 20 ટકાથી વધારે છે.
આ રિપોર્ટ મુજબ ભારતમાં રાંધણ ગેસ અને ઇલેકટ્રીફિકેશનના કારણે ગ્રામીણ વિસ્તારોમાં પ્રદૂષણથી થતા મુત્યુદરને ઘટાડી શકાય છે. 2010 બાદ ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દક્ષિણ એશિયાઇ દેશોમાં વાયું પ્રદૂષણ ઝડપથી વધી રહયું છે.
આ માટે અમેરિકાના હેલ્થ ઇફેકટ્સ ઇન્સ્ટિટયૂટના સંશોધકોએ ઉપગ્રહમાંથી પ્રાપ્ત થયેલા ડેટાનું બારિકાઇથી અધ્યન કર્યુ હતું. આ ડેટાના આધારે જણાવ્યું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ કરતા વાયુનું પ્રદૂષણ ખૂબજ ઝડપથી વધી રહયું છે.
આ રિપોર્ટમાં એક ચોંકાવનારી બાબત એ પણ જણાવવામાં આવી છે કે સૌથી વધુ અને સૌથી ઓછું પ્રદૂષણ ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઝડપથી ઘટી રહયું છે.