દેશના જવાનો પર કોઈ હુમલો કરે અને દેશની જનતાનું ખુન ન ઉકળે તેવું તો કેવી રીતે શક્ય છે. ચીનની નાપાક હરકત બાદ હાલ દેશમાં આવો જ માહોલ છે. ત્યારે આ તરફ હવે લોકોએ ચાઈનીઝનો બહિષ્કાર શરૂ કર્યો છે. વડોદરાના વેપારીઓએ તો પોતાની દૂકાનો અને લારીઓના નામ જ ચાઈનીઝમાંથી સાંઈનીઝ કરી નાખ્યા છે. ત્યારે કેવી છે તે આક્રોષની તસવીર જુઓ...
ગલવાન ઘાટીમાં અથડામણ બાદ ચીન સામે લોકોનો રોષ
વડોદરામાં ચાઈનીઝ ફૂડનું નામ બદલ્યું
ચાઇનીઝને બદલે સાંઇનીઝ કર્યું
ચાઈનાની હરકત બાદ દેશ ઉકળી ઉઠ્યો છે. બસ એક માગ થઈ રહી છે કે જવાનોની શહાદતનો બદલો ક્યારે ? જોકે ચીનને તો હુમલાનો જવાબ ભારત અને આપણી સેના આપશે જ. પરંતુ દેશની જનતાએ ચાઈનાની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે. વડોદરામાં તો વેપારીઓ દ્વારા ચાઈનીઝ નામનો જ બહિષ્કાર કરવામાં આવ્યો છે. શહેરના ખાણીપીણી બજારમાં ચાઈનીઝની લારીઓ ચલાવતા વેપારીઓએ પોતાનો રોષ ઠાલવતા પોતાની લારીના નામ જ ચાઈનીઝમાંથી સાંઈનીઝ કરી નાખ્યા છે.
વેપારીઓએ તો ચાઈનીઝ ફાસ્ટફૂડના પણ નામ બદલી નાખ્યા છે. સાથે-સાથે ચાઈનાનો સામાન પણ ખરીદવાનું બંધ કર્યું છે. તમે આ ખુદ આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે, કેવી રીતે વેપારીઓ પોતાની લારી પરથી ચાઈનીઝ નામ હટાવીને સાંઈનીઝ કરી રહ્યા છે.
મહત્વનું છે કે, ચાઈનાની વસ્તુઓનો તો વર્ષોથી વિરોધ થતો આવ્યો છે. પરંતુ તેની અસર એટલી નહોતી પડી. પરંતુ ચીની સૈનિકોના હુમલામાં 20 ભારતીય જવાનોની શહીદી દેશ માટે એક મોટો ઝટકો છે. હાલ તો વેપારીઓએ ચાઈનીઝમાંથી સાંઈનીઝ નામ બદલ્યું છે. પરંતુ આવનાર સમય બદલાની આગ કેવા સ્વરૂપમાં ધારણ કરી શકે છે તે પણ જોવું રહ્યું.