ગુજરાત સરકાર પર Adani Power ને ફાયદો કરાવવાનો આક્ષેપ છે. આ મુદ્દો આજે વિધાનસભામાં ઉછળ્યો હતો અને અદાણી હાય હાયના નારા લાગ્યા હતા. જેની સામે સરકારનો જવાબ પણ આવ્યો છે.
અદાણી પાવરને ફાયદો કરાવવાનો ગુજરાત સરકાર પર આક્ષેપ
મોંઘા ભાવે વીજળી ખરીદવામાં આવી
સરકારી વિજમથકોમાં ઉત્પાદન ઘટ્યું
ગુજરાત સરકાર પણ અદાણી પાવર પર મહેરબાન હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દો આજે વિધાનસભામાં પણ ઉછળ્યો હતો.
તાજેતરમાં મળેલી માહિતી મુજબ ગુજરાત સરકારે અદાણીને વીજ કરાર કરતા વધારે ભાવ ચૂકવ્યા હોવાના આક્ષેપ છે. આ કરાર મુજબ અદાણી પાવર લિ. સાથે 25 વર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા કરાર કરવામાં આવ્યા હતા.
વધારે દરે ખરીદવામાં આવી વીજળી
અદાણી ગ્રુપ સાથે વર્ષ 2006-2007માં 25 વર્ષ માટે કરાર કરાયા હતા. આ કરારોમાં 25 વર્ષ માટે રૂ.2.89 પ્રતિ યુનિટ, રૂ.2.35 પ્રતિ યુનિટના લેવલાઈઝ કરાર થયા હતા. અને મળેલી માહિતી અનુસાર 15-10-2018 થી તા.31-12-2020 સુધીમાં રૂ.3.52ના દરે વીજળી ખરીદાઈ છે. દેખીતી રીતે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદીના કરાર છતાં ઉંચા દર ચુકવાયા હોવાની બાબત ખૂલી હતી. જેના કારણે આગામી સમયમાં સરકાર અથવા તો પાવર ગ્રૂપને જવાબ આપવો પડે તેવી સ્થિત સર્જાઇ હતી અને આજે વિધાનસભામાં આ મુદ્દો છેડાતા સરકારે જવાબ પણ આપ્યો હતો. વિધાનસભામાં અદાણી હાય હાયના નારા પણ લાગ્યા હતા.
સરકારી વીજ મથકોમાં વીજ ઉત્પાદન ઘટ્યુ
તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાનુ ગૃહમાં નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે સરકારી વિજમથકોમાં વીજ ઉત્પાદન ઘટ્યુ છે.
સી.જે.ચાવડાના જણાવ્યા અનુસાર સરકારી વિજમથકોમાં 6000 મેગા વોટ વીજ ઉત્પાદન થવું જોઈએ પરંતુ હાલ માત્ર 3000 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. જે ચિંતાનો વિષય છે.
આ ઉપરાંત ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા વીજ ઉત્પાદન ઘટાડ્યુ હોવાનો દાવો પણ કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા દ્વારા કરવામાં આવ્યો હતો.
ગૃહમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો જવાબ
કોંગ્રેસના સવાલ પર આજે વિધાનસભાન્મ ગૃહમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો જવાબ પણ સામે આવ્યો છે. તેમણે કહ્યું હતું કે અદાણી પાવરને સરકારે 8916 કરોડ ચૂકવ્યા છે. ઉપરાંત તેમણે સ્વીકાર્યું હતું કે સરકારી વીજ ઉત્પાદન ઘટતું જાય છે. તેમણે કહ્યું હતું કે અમે સરકારી વીજ મથકોમાં 100% વીજ ઉત્પાદન કરવા માગીએ છીએ. જો કે હાલના તબક્કે સરકારી મથકોમાં પ્રતિ યુનિટ 4.76 રૂપિયે વીજ ઉત્પાદન થાય છે અને અદાણી પાસેથી 3.39 પૈસે પ્રતિ યુનિટ વીજળી ખરીદીએ છીએ.
સી.જે.ચાવડાએ જણાવ્યા અનુસાર અદાણી, ટાટા પાવરને સરકારે કરોડોનો ફાયદો કરાવ્યો છે.
અગાઉ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોતરીકાળ દરમિયાન અદાણી પાવર.લિ પાસેથી વીજળી ખરીદવાનો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પ્રશ્ન કર્યો હતો કે, અદાણી પાવર.લિ પાસેથી 6 ફેબ્રુઆરી 2007 તથા 2 ફેબ્રુઆરી 2007ના રોજ બીડ-1 અને બીડ-2 અંતર્ગત 25 વર્ષ માટે વીજ ખરીદી એગ્રીમેન્ટ થયા છે તે હકીકત સાચી છે. જો આ હકીકત સાચી હોય તો બીડ-1 અને બીડ-2 અંતર્ગત કયા દરે અદાણી પાવર લિ. પાસેથી વીજળી ખરીદીના એગ્રીમેન્ટ થયા છે.
આ કરારો બાદ 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં માસવાર કેટલી વીજળી ખરીદવામાં આવી એ પ્રશ્નના જવાબમાં સરકારે આપેલી વિગતોમાં ખુલાસો થયો હતો કે, બે વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી 12,534 મિલિયન યુનિટ્સ વીજળી ખરીદી છે. જેના માટે કુલ 4771 કરોડ ચૂકવ્યા હોવાની માહિતી મળી હતી.
પ્રશ્નોતરીકાળમાં સરકારે સ્વીકાર્યું છે કે, રાજ્યમાં 82,984 કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવા માટેની અરજીઓ પડતર છે.
1432 મિલિયન યુનિટ્સની ઓછી ખરીદી કરી પણ 19 કરોડ વધુ ચૂકવ્યા
કોંગ્રેસના ધારાસભ્યના જવાબમાં સરકારે વર્ષ 2020 અને વર્ષ 2021માં ગુજરાત સરકારે મહિનાવાર ખરીદેલી વીજળીની માહિતી આપી હતી. 2020માં દર મહિને ખરીદેલા યુનિટ્સ, ફિક્સ કોસ્ટ, પ્રતિ યુનિટ દર અને કુલ કેટલા રૂપિયાની વીજળી ખરીદી તેની વિગતો જાહેર કરી છે. જેમાં વર્ષ 2020માં 6983 મિલિયન યુનિટ્સ વીજળી ખરીદી છે. જેના માટે કુલ રૂ.2376 કરોડનો ખર્ચ કર્યો છે. જ્યારે વર્ષ 2021માં 5551 મિલિયન યુનિટ્સ વીજળી ખરીદી છે. જેના માટે કુલ રૂ.2395 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં વીજળીના દરમાં થયેલો ભાવ વધારો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. વર્ષ 2021માં વર્ષ 2020 કરતા 1432 મિલિયન યુનિટ્સની ઓછી ખરીદી કરી છે. તેની સામે 19 કરોડ વધુ ચૂકવ્યા છે.
કોંગ્રેસના સવાલ પર આજે વિધાનસભાન્મ ગૃહમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો જવાબ પણ સામે આવ્યો છે. તેમણે કહ્યું હતું કે અદાણી પાવરને સરકારે 8916 કરોડ ચૂકવ્યા છે. ઉપરાંત તેમણે સ્વીકાર્યું હતું કે સરકારી વીજ ઉત્પાદન ઘટતું જાય છે. જો આ બાબત પણ સાચી હોય તો એ ચિંતાનો વિષય છે અને તેનો વિકલ્પ શોધવો જરૂરી બની જાય છે.