બસપા સુપ્રીમો માયાવતીએ ચૂંટણી બાદ ભાજપ સાથે જોડાવાની અટકળોને લઇને જણાવ્યું કે સપા-બસપા ગઠબંધન માત્ર વર્તમાન માટે નહીં પરંતુ ભવિષ્ય માટે પણ છે. ભાજપનું મોવડીમંડળ આ ગઠબંધનને લઇને લાચાર જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકો વચ્ચે ભ્રમ ફેલાવી રહ્યાં છે.
માયાવતીએ કહ્યું કે આ ચાર તબક્કાના મતદાનમાં જનતાએ ગઠબંધનને સમર્થન આપ્યું છે જેના કારણે ભાજપ પરેશાન છે. આ ગઠબંધન માત્ર કેન્દ્રમાં નવા વડાપ્રધાન તેમજ નવી સરકાર બનાવવા માટે નહીં પરંતુ યુપીમાંથી ભાજપની સરકાર હટાવવા માટે છે. બસપાના અધ્યક્ષા માયાવતીએ પત્રકાર પરિષદ યોજીને પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
માયાવતીએ આ દરમિયાન સપા અને બસપાના ગઠબંધનને લઈને મોદી સરકારને ઘેરી છે. પીએમ મોદી પર આકરા પ્રહાર કરતાં માયાવતીએ કહ્યું કે, પીએમ મોદી અભૂતપૂર્વ સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. અમારા ગઠબંધનથી તેમના પેટમાં દર્દ થાય છે. અમારા ગઠબંધનને તોડવા અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યાં છે.
આ સિવાય કોંગ્રેસ અંગે વાત કરતાં માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસ સાથે અમારી કોઈ સમજૂતી નથી. રાયબરેલી અને અમેઠી બેઠક જાણી જોઈને છોડવામા આવી છે. અમેઠી અને રાયબરેલીમાં અમારા સમર્થકો કોંગ્રેસ સાથે છે. આ બેઠકો પર સપા બસપાના મતદારો કોંગ્રસેને મત આપશે.