પાકિસ્તાન વર્તમાન સમયમાં જ્યારે ફાઈનૅન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે મથી રહ્યું છે ત્યારે જ યુરોપની એક એજન્સીએ 'નાપાક' પાકની પોલ ખોલી દીધી છે. તેમણે જણાવ્યું છે કે, પાકિસ્તાન હજુ પણ જેહાદી તત્વોનો ભારત અને અફઘાનિસ્તાન વિરુદ્ધ હથિયાર તરીકે વાપરી રહ્યું છે.
સાઉથ એશિયા ડેમોક્રેટિક ફોરમના ચીફ ઈન્વેસ્ટિગેટર ડૉ. સેગ્ફ્રેડ ઓ. વૉલ્ફે બ્રસેલ્સમાં જણાવ્યું કે, પાકિસ્તાન પ્રતિબંધિત આતંકી સંગઠનો વિરુદ્ધ હજુ પણ સંતોષજનક કાર્યવાહી નથી કરી રહ્યું. જો વડાપ્રધાન ઈમરાન ખાનની આગેવાનીવાળી સરકાર આતંકી સંગઠનો વિરુદ્ધ કંઈ પણ કરવા ઈચ્છે તો પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈ તેમના પ્રયત્નોને નબળા પાડીને પાણી ફેરવી દે છે.
ડૉ. વૉલ્ફના જણાવ્યા અનુસાર, જેહાદી તત્વો એટલા પ્રભાવશાળી છે કે તેમની સામે કડક અને અસરકારક કાર્યવાહી પાકિસ્તાની નેતૃત્વ માટે પણ મોટો ખતરો બની શકે છે. જેહાદીઓ ચીન-પાકિસ્તાન ઈકૉનોમિક કૉરીડોર સહિત અનેક મોટી પરિયોજનાઓ પર હુમલો કરીને સરકાર સામે મોટી મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકી સંગઠનોએ પોતાનો પ્રભાવ અને તાકાત વધારીને પાકિસ્તાનની રાજનીતિની મુખ્યધારામાં સામેલ થવાની કોશિશ કરી અને એ લોકો તેમાં મહદ્અંશે સફળ પણ રહ્યા છે.
લશ્કર-એ-તોઈબાએ સંગઠનનું નામ બદલીને પક્ષ બનાવ્યો અને ચૂંટણીમાં પોતાના ઉમેદવારો પણ ઊભા રાખ્યા હતા. જનતાએ જોકે આતંકી સંગઠનના પ્રતિનિધિઓને સ્પષ્ટ જાકારો આપી દીધો હતો. આતંકી સંગઠનોના આ ઈરાદા ભારત સહિતના દેશો માટે બહુ ખતરનાક છે.
આગામી દાયકાઓમાં જો આતંકી સંગઠનો તેમની યોજનામાં સફળ થશે તો પાકિસ્તાનની ધૂરા જેહાદી તત્વોના હાથમાં જશે તે નક્કી છે. તેઓ પાકિસ્તાનમાં કટ્ટરપંથી ઈસ્લામી રીત-રીવાજો લાગુ પાડે તેવી પણ આશંકા સેવાઈ રહી છે. તેને પરિણામે પાકિસ્તાનમાં ધાર્મિક અરાજકતા પણ ફેલાઈ શકે છે તેવું સાઉથ એશિયા ડેમોક્રેટિક ફોરમે જણાવ્યું છે.