જૂનાગઢમાં ગીરનારની પરિક્રમાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. જૂનાગઢમાં આ પરિક્રમા માટે 2.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે. જેના પગલે ભવનાથ તરફ ભાવિક ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળ્યો. ગીરનાર તરફ જતા માર્ગો પર માનવ મહેરામણ ઉમટ્યુ છે
આમ તો દર વર્ષે અગિયારસથી પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે પણ આ વખતે ભક્તોનું મહેરામણ ઉમટતા બે દિવસ વહેલી પરિક્રમા શરૂ થઈ છે. ગીરનારમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોવાની પણ લોકકથા છે. ત્યારે પરિક્રમાને લઈને તંત્ર પણ ખડેપગે છે.
ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ એટલે ગિરનાર ની લીલી પરિક્રમા.ગુજરાત અને ગુજરાત બહારથી પરિક્રમાર્થીઓનો ધસારો સતત વધતો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગીરનારની 36 કિલોમીટરની પરિક્રમા કારતક સુદ અગિયારસથી પ્રારંભ થતી હોય છે પણ કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા પરિક્રમા વહેલી શરૂ કરી દેવામાં આવી હતી.
સ્થાનિક તંત્ર દ્વારા પણ ભક્તોની સુવિધા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરિક્રમા પૂરી કરતા ત્રણ દિવસ જેટલો સમય લાગે છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હોવાથી જંગલમાં ગંદકી વગેરે ના થાય તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે.