કચ્છ ભલે ઓછા અને અનિયમિત વરસાદવાળો વિસ્તાર હોય, અહીંના ખેડૂતો ઓછા પાણીમાં પણ ખૂબ મહેનત કરીને ખેતી કરે છે. નવા નવા પાક ઉગાડે છે. કેસર કેરી, ખારેક, દાડમ જેવા ફળોની મોટા પાયે નિકાસ થાય છે, ત્યારે મુંબઇગરા કચ્છીઓને કચ્છમાં સજીવ ખેતી કરવા આહ્વાન કરાયું છે.
કચ્છીઓ ગુજરાત સહિત આખા વિશ્વમાં ફેલાયેલા છે. તેમાં પણ મુંબઇ તો મીની કચ્છ તરીકે જ ઓળખાય છે. અહીં લગભગ 16 લાખ કચ્છીઓ વસી રહ્યા છે. મોટાભાગના સુખી અને સમૃદ્ધ છે. આમ તો કહેવાય છે કે, મુંબઇમાં રોટલો મળે પણ ઓટલો ન મળે.
પરંતુ હવે મુંબઇમાં રોટલો મેળવવો પણ અઘરો બન્યો છે. ત્યારે વાગડ વીસા ઓશવાળ ચોવીસી મહાજન અને કૃષિ રિસર્ચ ઇનોવેશન એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા એક સેમીનારમાં કચ્છીઓને મુંબઇનો મોહ છોડી વતનમાં જઇ સજીવ ખેતી કરવાની સમજ અપાઇ હતી.
કચ્છમાં વરસાદનું પ્રમાણ ઓછું અને અનિયમિત હોય છે. કોઇ વરસે ખૂબ ઓછું પાણી વરસે તો ક્યારેક કલ્પનામાં ન હોય તેટલું પાણી વરસીને ખાનાખરાબી વેરે. દુકાળના ત્રણ-ત્રણ વર્ષ સળંગ કચ્છના લોકોએ અનેક વખત જોયા છે. તેના ભીષણ પરિણામોને ખમ્યા છે. ભૂકંપ જેવી કુદરતી હોનારત પછી પણ ખમીરવંતું કચ્છ ફરી બેઠું થયું છે. એટલું જ નહીં પરંતુ અકલ્પનીય વિકાસ કર્યો છે.
કચ્છના પાકોની મોટા પાયે દેશવિદેશમાં નિકાસ
દુષ્કાળનું પ્રાબલ્ય હોવા છતાં કચ્છના ખેડૂતો હિંમત હાર્યા વગર નવા નવા પ્રયોગો કરીન ખેતીને વધુ ને વધુ ઉત્પાદન આપતી, નફો કરવાતી બનાવતા જાય છે. કેસર કેરી, દાડમ, કાજુ જેવા બાગાયતી પાકોની સાથે ઠંડા પ્રદેશમાં થતાં સફરજન પણ કચ્છમાં ઉગાડવાના પ્રયોગો ચાલુ છે. અહીંના પાકોની મોટા પાયે દેશવિદેશમાં નિકાસ પણ થાય છે. બાગાયતી ખેતી ધાન ખેતી કરતાં વધુ ફાયદાકારક સાબીત થઇ રહી છે.
બિયારણ, રાસાયણિક ખાતર, દવા વગેરે મોંઘા થતા જતા હોવાથી ખેતી મોંઘી પડી રહી છે ત્યારે જો સજીવ કે ગૌઆધારિત ખેતી કરાય તો ખર્ચ ઓછો આવે અને વળતર પણ વધુ મળે તેવી પૂરી શક્યતા હોવાથી સજીવ ખેતી આજે સારો વિકલ્પ મનાય છે. કચ્છમાં સજીવ ખેતીને ઘણો અવકાશ પણ છે.
સિંચાઇ માટે નર્મદાના પાણી કચ્છને પહોંચાડવાની હિલચાલ ચાલે છે. અત્યારે તો માત્ર પૂર્વ કચ્છના રાપર તાલુકાના ગામો, ભચાઉ તાલુકાનો અમુક વિસ્તાર જ આવરી લેવાયો છે. પરંતુ ભવિષ્યમાં મોટાભાગના કચ્છને સિંચાઇ માટે નર્મદાનું પાણી મળતું થઇ જશે. ત્યારે ખેતી માટેનો પાણીનો પ્રશ્ન હળવો બનશે અને ખેતી વધુ ફાયદાકારક બની રહેશે.
કચ્છીઓને ખેતી કરવા વતન તરફ પરત વાળવાના પ્રયાસ
મુંબઇમાં વાગડ વીસા ઓશવાળ ચોવીસી મહાજન દ્વારા યોજાયેલા સેમિનારમાં આ અંગે વિસ્તૃત સમજ અપાઇ હતી. આ સેમિનારમાં ટેકનોલોજી આધારિત સંગઠીત ખેતીને આવકના નવા સ્ત્રોત તરીકે ઉભી કરવા અને બીનઉપજાઉ જમીનને થોડા પ્રયત્નોથી ઉપજાઉ બનાવવા અંગે માહિતી પણ અપાઇ હતી.
આમ એક જમાનામાં કચ્છીઓ રળવા માટે વતન છોડીને મુંબઇની વાટ પકડતાં હતા ત્યારે આજે પ્રવાહ પલટાયો હોવાનું લાગી રહ્યું છે. કચ્છીઓને ખેતી કરવા વતન તરફ પરત વળવાનું ઇજન અપાઇ રહ્યું છે.