રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. જેમાં વધતા કોરોનાને કાબુમાં લેવા સેન્ટર પર ટેસ્ટની સંખ્યા દૈનિક એક હજાર કરવા સુચનો કરાયા છે.
સતત કોરોનાના કેસ વધતા અમદાવાદ તંત્ર સફાળુ જાગ્યુ
અર્બન હેલ્થ સેન્ટર પર હવે ટેસ્ટીંગ ફરી વધશે
કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા બમણી કરશે આરોગ્ય વિભાગ
રાજ્યમાં વધુ એક વખત કોરોનાનો હાઉ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કોરોના કેસમાં આવતા વધારાને લઈને લોકોમાં ચિંતાનો માહોલ છે તો આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે આવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.સતત કોરોનાના કેસ વધતા અમદાવાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. તંત્ર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર પર હવે ટેસ્ટીંગ ફરી વધારવા નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના સબંધિત અધિકારીએ કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા બમણી કરવા અંગે નિવેદન આપ્યું છે. ઉલ્લેખનિય છે કે હાલ સેન્ટર પર પ્રતિદિન સરેરાશ 500 જેટલા કોરોનાના ટેસ્ટ થઈ રહ્યા છે. જેના ભાગરૂપે હવે તેમાં વધારો કરી અને આગામી સમયમાં ટેસ્ટની સંખ્યા દૈનિક એક હજાર કરવા સુચનો જારી કરાયા છે.
9 માર્ચ બાદ કેસમાં વધારો
કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો આવી રહ્યો છે. ગત તા. 9 માર્ચના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 12 નવા કેસ નોંધાયા હતા. તો અમરેલીમાં 6 નવા કેસ નોંધાયા છે. વધુમાં રાજકોટ કોર્પો.માં 2 નવા કેસ, સુરત શહેરમાં 2 નવા કોરોના કેસ અને વડોદરા શહેરમાં 2 નવા કેસ નોંધાયા હતા.વધુમાં તો ગાંધીનગરમાં 1, જુનાગઢમાં 1 ,પોરબંદર, રાજકોટ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તથા મહેસાણામાં 1 કેસ નોંધાયો હતો.બાદમાં તા. 10 માર્ચના ના રોજ અમદાવાદમાં 11 લોકો અને સુરતમાં 1 વ્યક્તિ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું સામે આવ્યું હતું. બીજી બાજુ સુરતમાં 4 તેમજ રાજકોટમાં 3 તેમજ મહેસાણામાં 3 સાબરકાંઠા, વડોદરા અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયા હતા. જેના બીજા દિવસે એટલે કે તા. 11 ના રોજના રોજ અમદાવાદમાં 32, રાજકોટમાં 6, સુરતમાં 4, ભાવનગરમાં 3, સાબરકાંઠામાં 2, ગીર સોમનાથ અને પોરબંદરમાં 1-1 અને સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 કોરોના કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસથી મ્યુનિ. તંત્ર પણ હરકતમાં આવ્યું છે. માર્ચ મહિનાના પ્રારંભથી અમદાવાદમાં કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. અગાઉની કોરોનાની મહામારી વખતે જેમ અમદાવાદ ગુજરાતમાં કેસના મામલે હોટ સ્પોટ બન્યું હતું તેવી જ રીતે હવે પણ અમદાવાદ કોરોનાના કેસમાં રાજ્યમાં હોટ સ્પોટ બન્યું છે.
રાજ્યના ૬૦ ટકાથી વધુ કેસ માત્ર અમદાવાદમાં નોંધાઈ રહ્યા
રાજ્યમાં કુલ નોંધાતા કોરોનાના કેસની સંખ્યાના ૬૦ ટકાથી વધુ કેસ માત્ર અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે અને તેમાં પણ સાબરમતી પારના ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં દર્દીઓની સંખ્યા વધુ છે, જોકે શહેરના અન્ય ઝોનમાં પણ છૂટાછવાયા કેસ મળી રહ્યા છે.ગઈ કાલે સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ ૪૮ કેસ નોંધાયા હતા, જે પૈકી ર૬ કેસ એકલા અમદાવાદમાં જ હતા, જોકે ગઈ કાલે ૧૩ દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. રાજ્યમાં હાલ ર૧૩ એક્ટિવ કેસ નોંધાયા છે, જે પૈકી એક દર્દી વેન્ટિલેટર પર છે. ગઈ કાલે રાજ્યના ર૭૭ લોકોએ વેક્સિનનો ડોઝ લીધો હતો, જે પૈકી ૧૮ વર્ષથી વધુ ઉંમરના આઠ લોકોએ ફર્સ્ટ ડોઝ, ર૯ લોકોએ સેકન્ડ ડોઝ, ૧પથી ૧૭ વર્ષ સુધીના બે લોકોએ ફર્સ્ટ ડોઝ અને બે લોકોએ સેકન્ડ ડોઝ લીધો હતો. ૧૮થી પ૯ વર્ષ સુધીના સૌથી વધુ ર૦૪ લોકો પ્રીકોશન ડોઝ લીધો હતો.
વેક્સિનેશનના મામલે રાજ્યમાં કુલ ર૭૭ લોકો વેક્સિનેટેડ થયા હતા, જેમાં અમદાવાદમાં ૧૯ લોકોએ વેક્સિનનો ડોઝ લીધો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ૧૯૦ લોકોએ વેક્સિનના ડોઝ લીધા હતા. ભાવનગર કોર્પોરેશનમાં ર૭ લોકો વેક્સિનેટેડ થયા હતા. દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરનાં તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોનાના ટેસ્ટિંગની સુવિધા શરૂ કરાઈ છે, જેમાં એન્ટિજન રેપિડ ટેસ્ટ અને આરટી-પીસીઆર ટેસ્ટનો સમાવેશ થાય છે. કોરોનાનાં લક્ષણ હળવાં હોવા છતાં પણ કોમોર્બિડ એટલે કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કિડની જેવા અન્ય બીમારી ધરાવતા લોકોએ કોરોનાને લેશમાત્ર હળવાશથી લેવાની જરૂર નથી અને કોરોના જેવાં લક્ષણો દેખાય કે તરત જ નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં જઈ તેનું ટેસ્ટિંગ કરાવવું હિતાવહ રહેશે.