નવસારીમાં સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી દુકાન ખોલવા આદેશ
ડોક્યુમેન્ટ વિના અનાજ આપવામાં આવશે
ગુજરાતમાં સૌથી વધુ પૂર અસરગ્રસ્ત જિલ્લા નવસારીમાં હજુ પણ રાહત બચાવની કાર્ય પૂર ઝડપે ચાલી રહ્યું છે. લોકોને ઓછી તકલીફ પડે તેણે લઈને આયોજનો થઈ રહ્યા છે. ત્યારે કેબિનેટ મંત્રી નરેશ પટેલે નવસારી જિલ્લા તંત્રને આદેશ કર્યો છે.જિલ્લાની સસ્તા અનાજની દુકાન સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલી રાખવા સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ ઘણા એવા લોકો પણ છે કે પૂરના કારણે ઘરવખરી સહિત ડોક્યુમેન્ટ પણ વહી ગયા છે. જેથી નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેશનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ વિના અનાજ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.ગણદેવી અને ચીખલી તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત છે જ્યાં તાત્કાલિક ધોરણે લોકોને અનાજ મળી રહે તેવુ આયોજન કરવા તંત્રને નિર્દેશ કરવામાં આવ્યા છે.
ખેડૂતોના પાકને ભારે નુકસાન, 45 ટીમો કરી રહી છે સર્વેની કામગીરી
નવસારી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે.ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાના અનેક ગામોમાં હજુ પણ પાણી છે.ત્યારે સૌથી વધુ નુકસાન નવસારી વાંસદા અને ખેરગામ તાલુકામાં થયું છે. વાંસદા તાલુકામાં અંદાજિત 53 હજાર હેક્ટરમાં પાણી ફરી વળતાં ડાંગર, શેરડી, વેઘણ, ભીંડાના પાકને નુકસાન થયું છે. નવસારીમાં નુકસાની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેના માટે 45 જેટલી ટીમોની રચના કરી નવસારીના જુદા-જુદા તાલુકામાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે.હજુ પણ ખેતરોમાં પાણી ઓસર્યા નથી ત્યાં ડ્રોન કેમેરાની મદદથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઓપરેશન નિરામયા હાથ ધરવામાં આવ્યું
નવસારી જિલ્લામાં માં પૂરના પાણી ઉતર્યા બાદ રોગચાળાએ માથું ન ઊંચકે એ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે આજે નવસારી શહેરમાં આવેલા હિદાયત નગરમાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ભાવેશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એ મુલાકાત લીધી. હિતાયત નગર, શાંતાદેવી રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં લોકોને આરોગ્ય વિભાગ તરફથી ક્લોરિન ટેબલેટ આપવામાં આવી રહી છે સાથે જ તમામ લોકોએ પાણી ઉકાળીને પીવા માટેના સૂચન આરોગ્ય વિભાગે જાહેર કર્યા છે. ઝાડા અને ઉલટીના કેસો ધ્યાનમાં આવે એના માટે આરોગ્ય વિભાગ એ તમામ CHC, PHC ઉપર બે એમબીબીએસ ડોક્ટરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. હાલ ઓપરેશન નિરામયા અંતર્ગત નવસારી આરોગ્ય વિભાગની ટીમ શહેરના તમામ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરી લોકોને ક્લોરિન ટેબલેટ અને અન્ય દવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે જેથી રોગચાલો ભરડો ન લે.