રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે ગુજરાત રાજસ્થાન સરહદ પર 2 ડેમ બનાવવાનો નિર્ણય લીધો છે. જેનો રાજસ્થાનની સાથે-સાથે ગુજરાતમાં પણ વિરોધ શરૂ થતા VTVએ રાજસ્થાનના ગામડાઓમાં રિયાલીટી ચેક કર્યું હતું.
રાજસ્થાન સરકારના ડેમ બનાવવાના નિર્ણયનો ગુજરાત અને રાજસ્થાનમાં વિરોધ
રાજસ્થાનના સ્થાનિકો સ્થાળાંતર ન કરવા મક્કમ
VTVએ રાજસ્થાનના ગામડાઓમાં કર્યું રિયાલીટી ચેક
ડેમ બનવા પર 1.5 લાખ લોકોનું થશે સ્થળાંતર- સ્થાનિક
રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે ગુજરાત રાજસ્થાન સરહદ પર 2 ડેમ બનાવવાનો નિર્ણય લીધો છે. અશોક ગેહલોતે રાજસ્થાનના બજેટમાં સાબરમતી નદી અને સહી નદી પર ડેમ બનાવવાનો ઉલ્લેખ કર્યો છે. જેનો ગુજરાતની સાથે રાજસ્થાનમાં પણ વિરોધ શરૂ થયો છે. રાજસ્થાનમાં રાજસ્થાનમાં ગ્રામ પંચાયતથી લઇને તાલુકા કક્ષાએ વિરોધ શરૂ કર્યો છે. જે બાદ VTVએ રાજસ્થાનના ગામડાઓમાં રિયાલીટી ચેક કર્યું હતું. જેમાં રાજસ્થાનના સ્થાનિકોએ રાજસ્થાન સરકારને આદિવાસી વિરોધી ગણાવી છે.
અમે ડેમ નહીં બનાવવા દઈએઃ સ્થાનિક
સાથે જ સ્થાનિકોએ કહ્યું કે, આદિવાસીઓ સ્થળાંતર નહીં કરીને ઈતિહાસ લખશે. કોઈપણ સંજોગોમાં આદિવાસીઓ આ ડેમ બનવા દેશે નહીં. કારણ કે, ડેમ બનવા પર 1.5 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. આ લોકોને ક્યાં રાખવામાં આવશે, એ અંગે હજુ સુધી રાજસ્થાન સરકારે સ્પષ્ટ કર્યું નથી. અમે ડેમના વિરોધમાં અનેક વખત વિરોધ પ્રદર્શન અને ધરણાં પણ કર્યા છે. આમ છતાં રાજસ્થાન સરકારના પેટનું પાણી હલતું નથી. વધુમાં રાજસ્થાનના સ્થાનિકોએ કહ્યું કે, રાજસ્થાન સરકાર ડેમ બનાવીને અમને બેઘર કરવા માગે છે. સાથે ગુજરાતમાં મળતું પાણી પણ બંધ કરવા માગે
ડેમ બનાવવા બજેટમાં કરાઈ જોગવાઈ
સમગ્ર ઉત્તર ગુજરાત માટે ધરોઈ યોજના એકમાત્ર જીવા દોરી સમાન યોજના છે. જોકે, રાજસ્થાન સરકાર દ્વારા 2558 કરોડના ખર્ચે સાબરમતી તેમજ સહી નદી ઉપર ચકસારમાઢિયા અને બુજા જળાશય યોજના બનાવવા બજેટમાં જોગવાઈ કરાતા હવે ગુજરાત સહિત રાજસ્થાનમાં ભારે વિરોધ શરૂ થયો છે. સ્થાનિકોએ ડેમ રોકવા માટે કોઈપણ હદ સુધી લડી લેવાની તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજસ્થાન સહિત ગુજરાતમાં વિરોધ
1972માં સાબરકાંઠાના વડાલી નજીક ધરોઈ જળાશય યોજના બનાવવામાં આવી તેમજ ધરોઈ જળાશય યોજનાના પગલે ઉત્તર ગુજરાતના નવ મોટા શહેર સહિત 700થી વધારે ગામડાઓ માટે સિંચાઈ તેમજ પીવાના પાણીની સુવિધા ઉભી કરાઈ હતી. સાથોસાથ સમગ્ર ઉત્તર ગુજરાત માટે આ યોજના સિંચાઈ તેમજ પીવાના પાણી માટે એકમાત્ર આશાસ્પદ પાણીનો સ્ત્રોત બની રહેલ છે. જોકે, રાજસ્થાન સરકાર દ્વારા ધરોઈ જળાશય યોજનાની મુખ્ય બે નદી ઉપર ચકસારમાઢીયા તેમજ બુજા ડેમ બનાવનો નિર્ણયથી હવે આગામી સમયમાં ધરોઈ જળાશય યોજના નામ માત્રની બની રહે તેવી સંભાવનાઓ છે. જોકે, રાજસ્થાનમાં સ્થાનિક ગ્રામ પંચાયતો સહિત તાલુકા કક્ષાએ ભારે વિરોધ શરૂ થયો છે. સ્થાનિકોનું માનીએ તો મળતે દમ તક જગ્યા ખાલી ન કરવા સહિત કોઈ પણ ભોગે ડેમ ન બનાવવા લોકો મક્કમ બન્યા છે.
1 લાખ 50 હજારથી વધારે લોકો વિસ્થાપિત થવાની સંભાવના
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રાજસ્થાન સરકાર દ્વારા 1972માં ધરોઈ જળાશય યોજના બની હતી ત્યારે એક કરાર મુજબ ધરોઈ જળાશય યોજનાથી 300 માઈલ સુધીમાં કોઈપણ પ્રકારની જળાશય યોજના બનાવવામાં ન આવે તે પ્રકારનો કરાર કરાયો હતો. સાથોસાથ હાલના તબક્કે સ્થાનિકોની પરવાનગી વગર બની ધરોઈ જળાશય યોજના અંતર્ગત ભારે વિરોધાભાસની પણ શરૂઆત થયેલ છે. જોકે, આ મામલે સ્થાનિક ગ્રામ પંચાયતોના સરપંચ સહિત સ્થાનિક આગેવાનો પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. સ્થાનિકોનું માનીએ તો બંને નદી ઉપર જો જળાશય બનાવવામાં આવે તો અંદાજિત એક લાખ પચાસ હજારથી વધારે લોકો વિસ્થાપિત થવાની સંભાવના છે.
ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના
રાજસ્થાનમાં ઊભા થયેલા આ વિવાદના પગલે સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે પાણીના પગલે ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના છે. આ મામલે ખેડબ્રહ્મા, પોશીના તેમજ વિજયનગરના આદિવાસી આગેવાનો ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને પોતાનું આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે તેમજ ખેડૂતોમાં પ્રાંત અધિકારીએ વિષયની ગંભીરતા જોતા ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીએ પણ આવેદનપત્રને અગ્રિમતા આપી ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર મોકલી આપેલ છે.
જોકે, આગામી સમયમાં આ મામલે કેટલા અને કેવા પરિણામો ઊભા થશે એ તો સમય જ બતાવશે પરંતુ હાલના તબક્કે રાજસ્થાનમાં જો બે ડેમ બનાવવા છે તો ધરોઈ જરાશય યોજના નિરર્થક સાબિત થશે તે નક્કી છે.