અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના લાલપુર ગામના લોકો પાણીની સમસ્યાથી પરેશાન છે. ઉનાળામાં પીવાના પાણીની સમશ્યા જ્યારે ચોમાસામાં ડુંગર ઉપરથી આવતા પાણીના નિકાલની સમસ્યાથી ગ્રામજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે અને છતાં પાણીએ યોગ્ય આયોજનના અભાવે મહિલાઓને બે કિલોમીટર દુરથી લાવવું પડી રહ્યું છે પીવાનું પાણી.
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા શામપુર ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના લાલપુર ગામે ૧૫૦ ઘરોની ૧૦૦૦ની વસ્તી વસવાટ કરી રહી છે. લાલપુર ગામ ડુંગરની તળેટીમાં આવેલું ગામ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. ગામમાં પીવાના પાણી માટે સરકાર દ્વારા એસ્કે 2 યોજના અંતર્ગત સંપ બનાવ્યો છે. જેમાં નર્મદાનું પાણી આવે છે પરંતુ આ પાણી પીવાલાયક નહીં હોવાના કારણે ગ્રામજનો પરેશાન છે.
આ પાણી પીવાથી અનેક બીમારીઓ થતી હોવાથી ગ્રામજનો પી શકતા નથી, ત્યારે આ ગામના લોકો છેલ્લા ૧૦ વર્ષ કરતા વધુ સમયથી પાણીની સમસ્યાને લઇ પરેશાન થઇ ગયા છે અને પીવાનું પાણી ભરવા માટે મહિલાઓને દુર દુર ૨ કિલોમીટર સુધી ચાલીને ખેતરોમાં ભરવા જવું પડે છે. જેથી કંટાળેલી ગામની મહિલાઓ એ આજે ગામમાં માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો અને છતાં પાણીએ તરસ્યા મારી રહેલા ગ્રામજનો માટે તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરી પાણીની સમસ્યા હલ કરાય તેવી માંગ કરી હતી.
લાલપુર ગામ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું ગામ છે ત્યારે ગામના લોકો વર્ષોથી પાણીની સમશ્યાને કારણે પરેશાની ભોગવી રહ્યા છે. ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા જ્યારે ચોમાસામાં ગામ ડુંગરની તળેટીમાં આવેલું હોવાથી વરસાદનું ડુંગર ઉપરનું પાણી ગામમાં વચ્ચે થઇ વહેતું હોવાથી ગ્રામજનો પરેશાન છે. ત્રણ વર્ષ અગાઉ આ પાણીને કારણે મોટું નુકશાન પણ થયું હતું ત્યારે દર વર્ષે ચોમાસું આવતા વધુ વરસાદમાં ગ્રામજનો પાણીના કારણે ભયના ઓથાર નીચે રહેવા મજબુર બને છે, ત્યારે લાલપુરના ગ્રામજનો ઉનાળામાં પીવાના પાણી અને ચોમાસામા પાણીના નિકાલની સમસ્યા અંગે સરકાર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
સમગ્ર મામલે ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, ગામની આ સમસ્યા અંગે મામલતદારનો રાત્રી રોકાણ કાર્યક્રમમાં રજૂઆત કરી છે તંત્ર દ્વારા પણ આ માટે હૈયા ધારણા આપવામાં આવી છે ત્યારે પંચાયત દ્વારા આ અંગે સતત પ્રયત્નો ચાલુ છે. ત્યારે સવાલ એ થાય છે કે તંત્રના વાકે આ લાલપુર ગામના ગ્રામજનો ક્યા સુધી પરેશાની ભોગવશે તે જોવું રહ્યું.