ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આવતી કાલે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થવા જઈ રહી છે. વિપક્ષ દ્વારા ધારાસભ્યોના સસ્પેન્શનને લઈને વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ દરખાસ્ત રજૂ થનાર છે ત્યારે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવદીની ચેમ્બરમાં મહત્વની બેઠક મળી હતી.
અધ્યક્ષની ચેમ્બરમાં યોજાયેલ આ બેઠકમાં અવિશ્વાસ પ્રસ્તાવને પગલે કેવી રણનીતિ ઘડવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા સંસદીય મંત્રી પ્રદીપસિંહ તથા દંડક પંકજ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિરોધ નોંધાવતા વિધાનસભા સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ થોડા સમય પહેલા જ દાખલ કર્યો હતો.પરેશ ધાનાણીએ વિધાનસભા સચિવ સમક્ષ સ્પિકર રાજેન્દ્ર ત્રિવેદીની વર્તણુકને લઈને અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કર્યો છે.આ વિષય પર આવતીકાલે ચર્ચા કરવામાં આવશે.જો કે આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચર્ચા તોફાની બનવાની પુરી શક્યતાઓ રહેલી છે.