CAA, કૃષિ બિલ બાદ હવે વિપક્ષે એક થઇને Unlawful Activities (Prevention) Act (UAPA) એક્ટ વિરૂદ્ધ મોરચો માંડ્યો છે.
UAPA હેઠળ 83 વર્ષીય આદિવાસી હકોના એક્ટિવિસ્ટ સ્ટાન સ્વામીની ધરપકડના વિરોધમાં બુધવારે કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા [CPI(M)], દ્રવિડ મુનેત્ર કાઝગમ (DMK) અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP), ઝારખંડ મુક્તિ મોરચા (JMM) જેવા પક્ષોએ ભેગા થઇને વિવાદાસ્પદ UAPA કાયદાનો વિરોધ કરવાનું એલાન કર્યું છે.
ભારતની એકતા અને અખંડિતતાના સામે આજે ખતરો: CM હેમંત સોરેને
ઝારખંડના CM હેમંત સોરેને કહ્યું કે ભારતની એકતા અને અખંડિતતાના સામે આજે ખતરો ઉભો થયો છે. દેશના બંધારણીય માળખાને તોડી નાખવાનું કાવતરું રચાઈ રહ્યું છે. NDA સરકાર દલિતો, આદિવાસીઓ અને નબળા વર્ગ ઉપર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવનાર લોકોનો અવાજ રૂંધવાનો પ્રયત્ન કરી રહી છે.
આ ઉપરાંત CPI(M)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ કહ્યું કે ભીમા કોરેગાંવ કેસમાં ધરપકડ કરાયેલા મોટા ભાગના આરોપીઓ 60 વર્ષથી ઉપરના છે. તેઓ સૌ ઉપર કોરોનાના સંક્રમણનો ભય છે પણ સરકાર માનવતા દાખવી નથી રહી.
તેમણે કહ્યું કે ભૂતકાળમાં બધી રાજકીય પાર્ટીઓએ ભેગા મળીને POTA (Prevention of Terrorism Act, 2002)નો વિરોધ કર્યો હતો એવી રીતે તમામ પક્ષોએ ભેગા થઇને UAPA, નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) જેવા કાયદાઓનો વિરોધ કરવો જોઈએ.
સરકાર મહામારીનો દુરુપયોગ કરીને પ્રજા સામે કાયદાઓ લાદી રહી છે: કરુણાનિધિ
DMKના કરુણાનિધિએ કહ્યું હતું કે સરકાર મહામારીનો દુરુપયોગ કરીને પ્રજા સામે કાયદાઓ લાદી રહી છે. આવા કાયદાઓનો આપણે સૌ પક્ષોએ આપણા તફાવતો બાજુમાં રાખીને એકજૂથ થઇને વિરોધ કરવો જોઈએ.
આ ઉપરાંત કોંગ્રેસના શશી થરૂરે પણ 40 વર્ષથી આદિવાસી માટે કામગીરી કરી રહેલા ફાધર સ્વામીની ધરપકડનો વિરોધ કર્યો છે અને સરકારને ફાધર સ્વામીને જલ્દીથી જલ્દી મુક્ત કરવા વિનંતી કરી હતી.