રાજકોટની પૂર્વ બેઠક પર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીનો વિરોધ ભાજપના જ આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવતા તાત્કાલિક ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. તેમણે ગતરોજ હોદ્દેદારો, આગેવાને અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી.
રાજકોટ પૂર્વ બેઠક પર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીનો વિરોધ
અશ્વિન મોલીયા, મુકેશ રાદડિયા અને દલસુખ જાગાણી દ્વારા વિરોધ
વિકાસ ન થતો હોવાના આક્ષેપ સાથે અરવિંદ રૈયાણીનો વિરોધ
ડેમેજ કંટ્રોલ કરવા બી.એલ.સંતોષ દોડી આવ્યા રાજકોટ
વિધાનસભાની 2022ની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સરકાર ચલાવતી ભાજપ કોઈ કસર છોડવા માંગતી નથી. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક જૂથવાદ ઉડીને આંખે વળગ્યો છે. બે દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયામાં રાજકોટની પૂર્વ બેઠક પર રસાકસી જોવા મળી હતી. ચૂંટણી પહેલા આ જૂથવાદ ઠારવા ભાજપના દિગ્ગજ નેતાઓ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં તેમણે હોદ્દેદારો, આગેવાને અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી.
મંત્રી અરવિંદ રૈયાણી સામે વિરોધ
રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન શહેર ભાજપનો જૂથવાદ અને મંત્રી અરવિંદ રૈયાણી સામેનો વિરોધ આંખે વળગ્યો હતો. રાજકોટ પૂર્વ બેઠક પર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીનો વિરોધ કરાયો હતો. અશ્વિન મોલીયા, મુકેશ રાદડિયા અને દલસુખ જાગાણી દ્વારા વિકાસ ન થતો હોવાના આક્ષેપ સાથે અરવિંદ રૈયાણીનો વિરોધ કરાયો હતો. ત્યારે જૂથવાદ અને ડેમેજ કંટ્રોલ કરવા માટે તાત્કાલિક ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા.
ભાજપ સામે અસંતોષ નથીઃ મુકેશ રાદડીયા
રાજકોટ પૂર્વ બેઠકના સેન્સ સમયે આ બેઠકના દાવેદાર ભાજપ યુવા અગ્રણી મુકેશ રાદડિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, પૂર્વ બેઠક પર દાવેદારો વધુ છે તેનું કારણ વર્તમાન ભાજપના MLA અને રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી છે. આ બેઠકમાં અમારે પક્ષ પરિવર્તન ઈચ્છા નથી પરંતુ વ્યક્તિ પરિવર્તનની ઈચ્છા છે.
ઉમેદવાર બદલવા જોઈએઃ મુકેશ રાદડીયા
મુકેશ રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉપલાકાંઠે વિકાસ થયો જ નથી. જેને લઇને મારા સહિત અનેક આગેવાનોએ ભાજપમાંથી દાવેદારી કરવી પડી છે અને આ અમારો ભાજપ સામે અસંતોષ નથી પરંતુ ઉમેદવાર બદલવા જોઈએ. તેવી મુકેશ રાદડીયાએ માંગ ઉઠાવી હતી.
જાણો રાજકોટ પૂર્વની બેઠક પર ભાજપમાંથી કોણે દાવેદારી નોંધાવી
રાજકોટની પૂર્વ બેઠકના દાવેદારની વાત કરીએ તો પૂર્વ બેઠક પર રમેશ પરમાર, સંજય ગોસ્વામી, અરવિંદ રૈયાણી, અસ્વિન મોલ્યા, દલસુખ જાગાણી, બાબુભાઇ માટીયા, પરેશ લીંબાસીયા, જયંતિ સરધારા, ઉદય કાનગડ, ભારતીબેન પરસાણા, દેવાંગ કુકાવા, પોપટ ટોળીયા, ખીમજી મકવાણા, મનસુખ પીપળીયા, તેજસ ભટ્ટી, વલ્લભભાઈ દુધાત્રા, સંજય હિરાણી, રશિક વોરા, મુકેશ રાદડિયા અને રશિલા સાકરીયાએ દાવેદારી નોંધાવી છે.