મોદી સરકારે રજૂ કરેલા 2021-22નાં બજેટને ડાબેરી પક્ષોનાં નેતાઓએ વખોડ્યુ છે અને મહાસચિવે કહ્યું કે આ બજેટ માત્ર પુંજીપતિઓનું બજેટ છે.
વીમા, રક્ષા, બેન્ક, રેલ બધુ સરકાર વેચવા જઈ રહી છે
સરકારે સામાન્ય વ્યક્તિઓ અને ખેડૂતોને ઇગ્નોર કર્યા
નોકરીયાતો માટે કોઈ મોટી જાહેરાત નહીં
આ બજેટ છે કે OLX: વિપક્ષ
કેન્દ્ર સરકારનાં બજેટ પર સીપીએમ(ડાબેરીઓ) દ્વારા મોટો હુમલો કરાયો છે. લેફ્ટ નેતા મોહમ્મદ સલીમ અલીએ કહ્યું કે, આ બજેટમાં રેલ, બેન્ક, વીમા, રક્ષા અને સ્ટીલ બધુ સરકાર વેચવા જઈ રહી છે. આ બજેટ છે કે OLX. સીપીએમ નેતા સલીમ અલીએ બજેટની ઘોર નિંદા કરતા કરતા સલીમ અલીએ કહ્યું છે કે, સરકારે બજેટમાં વીમા, રેલવે, ડિફેન્સ, સ્ટીલ, બેન્ક બધુજ વેચવા કાઢ્યુ છે. સીપીએમનાં મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે આ તો પુંજીપતિઓનું બજેટ છે.
પેપરલેસ બજેટ 100 વિઝનલેસ
ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, ભારતનું પહેલુ પેપરલેસ બજેટ 100 ટકા વિઝનલેસ બજેટ છે. જેની થીમ ભારત વેચો છે. ડેરેક ઓ બ્રાયને કહ્યુ કે, રેલવે વેચવા જઈ રહ્યા છે, એરપોર્ટ વેચવા જઈ રહ્યા છે, પોર્ટ વેચવા જઈ રહ્યા છે, વીમા સેક્ટર પણ વેચાઈ રહ્યા છે, 23 પીએસયુ પણ વેચવા જઈ રહ્યા છે. સરકારે સમાન્ય વ્યક્તિઓને ઇગ્નોર કર્યાં છે, ખેડૂતોને ઈગ્નોર કર્યાં છે. અમીર અમીર બની રહ્યા છે અને મિડલ ક્લાસ માટે કશઉં છે જ નહીં અને ગરીબ વધુ ગરીબ બની રહ્યો છે.
બ્રેક રિપેર ના કરી એટલે હોર્નનો અવાજ વધાર્યો
કોંગ્રેસ સાંસદ શશિ થરુરે બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બીજેપી સરકાર મને એવો ગેરેજ મિકેનિકની યાદ અપાવે છે જેણે તેનાં ગ્રાહકોને કહ્યું કે હું તમારી બ્રેક રિપેર નથી કરી શકતો એટલે તમારા હોર્નનો અવાજ વધારી દઉ છું.
બજેટ કલ્યાણકારી
ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટને કલ્યાણકારી જણાવ્યું છે. તેમણે કહ્યું કે, વર્તમાન સામાન્ય બજેટ લોક કલ્યાણકારી, સર્વસમાવેશી અને આત્મનિર્ભર ભારતની ઇચ્છાને અનુરુપ છે. બજેટમાં ખેડૂત, મધ્યમવર્ગ, ગરીબ, મહિલાઓ સહિત દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ અર્થવ્યવસ્થાને ગતિ આપવા અને દેશનાં દરેક નાગરિકોને આર્થિક રુપે સશક્ત કરવાનું કામ કરશે.
ફડણવીસ બજેટથી થયાં ખુશ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્ર સરકારના બજેટને વખાણ્યું હતું. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે નાસિક અને નાગપુર પ્રોજેક્ટનો સ્વીકાર કર્યો છે, આ સાથે જ નાસિક મેટ્રોનું મોડલ દેશભરમાં લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરાઇ છે. તો નાસિક મેટ્રો માટે 2092 કરોડ રૂપિયાનું એલાન કર્યું છે. નાગપુર મેટ્રોના ફેઝ 2 માટે 5976 કરોડ રૂપિયાનું એલાન કરાયું છે.
નોકરીયાત વર્ગ માટે કોઇ રાહત નહીં
શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે- બજેટમાં નોકરીયાતો માટે કોઇ રાહત જાહેર કરી નથી. આ સાથે જ મહિલાઓ માટે પણ કોઇપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. બાળકો માટે કેન્દ્ર સરકારે ખાસ જાહેરાત કરી નથી જે ડિજીટલ ડિવાઇસના કારણે પોતાનું ભણતર છોડી ચૂક્યા છે.