હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. બુધવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતનું ચાલુ નાણાંકીય વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું હતું. આજે બજેટ સત્રનો બીજો દિવસ છે. ત્યારે ગૃહમાં આઉટ સોર્સિંગ કરતા સરકારના કર્મચારીઓ માટે પગાર સીધો ખાતામાં જમા થશે તેવી સરકારે જાહેરાત કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આઉટ સોર્સિંગ દ્વારા કૌભાંડ કર્યું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે.
આઉટ સોર્સિંગ દ્વારા સરકારે કૌભાંડ કર્યું હોવાનો વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે. પરેશ ધાનાણીએ કહ્યું કે, વિધાનસભામાં સરકારે 39 હજાર કરોડના આઉટ સોર્સિંગથી થયેલા ગોટાળાનો સ્વીકાર કર્યો છે.
આ ઉપરાંત પરેશ ધાનાણીએ દાવો કર્યો છે કે, સરકાર દ્વારા 15 વર્ષમાં 6 લાખ 93 હજાર યુવાનોનું શોષણ કરવામાં આવ્યું છે. સરકારે મળતિયાઓની ખાનગી આઉટ સોર્સિંગ કંપનીઓ દ્વારા ગોટાળો કર્યો છે. આરોગ્ય વિભાગમાં જૂની નીતિથી સરકારને 100 કરોડથી વધુનું નુકસાન થયું છે.
ધાનાણીએ કહ્યું કે, એક વર્ષમાં આરોગ્ય વિભાગમાં જ 100 કરોડનો ગોટાળો એટલે કે 15 વર્ષમાં 1500 કરોડનો ગોટાળો ફક્ત આરોગ્ય વિભાગમાં જ થયો છે. જ્યારે 26 વિભાગોમાં વર્ષે 26 સો કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.