બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણ-કચ્છ અને બનાસકાંઠામાં બ્લેકઆઉટ, પાકને જડબાતોડ જવાબ આપવા સેના તૈયાર
Last Updated: 11:29 AM, 10 May 2025
Operation Sindoor : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ 6 મે અને 7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કરીને ભારે ખળભળાટ મચાવ્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી ગતિવિધિને ધ્યાનમાં રાખીને શુક્રવારે (9 મે) રાત્રે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક ભાગોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
અધિકારીઓએ જણાવ્યું હતું કે, કચ્છમાં જિલ્લાવ્યાપી બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો. જ્યારે ભારત-પાકિસ્તાન સરહદની નજીક આવેલા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક સરહદી વિસ્તારોમાં વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેના સરહદી વિસ્તારમાં કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે.
બનાસકાંઠા-પાટણના 30 ગામોમાં અંધારપટ જાહેર
ADVERTISEMENT
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 8 થી 10 ગામોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સુઇગામ અને તેની આસપાસના 20 ગામોમાં પણ અંધારપટ જાહેર કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી કાર્યાલયે શું કહ્યું ?
ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ 'X' પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સરહદ પર પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં આગામી આદેશો સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના સુઇગામ અને વાવ તાલુકાના તમામ ગામોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.
As a precautionary measure, a blackout has been imposed in the villages of bordering Santalpur taluka in Patan district. All the citizens are advised to stay away from rumours and follow the instructions issued by administration from time to time. https://t.co/0RIJsEmQ0Z
— CMO Gujarat (@CMOGuj) May 9, 2025
કચ્છ કલેક્ટરે શું કહ્યું ?
કચ્છ કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કહ્યું કે, તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઈ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાશો નહીં.
તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઈ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાશો નહીં.
— Collector & DM, Kachchh (@collectorkut) May 10, 2025
-જિલ્લા વહીવટી તંત્ર, કચ્છ@CMOGuj
કચ્છની સરહદે પાકિસ્તાનનો વધુ એક ડ્રોન હુમલો ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો
ભારત-પાકિસ્તાન સરહદે સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. કચ્છની સરહદે પાકિસ્તાનનો વધુ એક ડ્રોન હુમલો ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. અબડાસાના નાની ધ્રુફી ગામ પાસે ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. આજે સવારના 6 વાગ્યા આસપાસ ડ્રોન જોવા મળ્યુ હતું, જેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પડાયું હતું. હાલની સંવેદનશીલ સ્થિતિને જોતા કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને કોઇ જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઇ છે,સાથે જ કોઇપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવા પણ કહેવાયું છે.
બોર્ડર વિસ્તારના ગામડાઓમાં બ્લેક આઉટ તો નડાબેટ ટુરીઝમ પ્રવાસીઓ માટે બંધ
બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડાઓમાં બ્લેક આઉટ જાહેર કરાયું છે. વાવ અને સુઇગામ બોર્ડર વિસ્તારના ગામડાઓમાં બ્લેક આઉટ જાહેર કરાયું છે. જિલ્લાના 24 ગામોમાં તકેદારીના ભાગરૂપે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે, અને તમામ નાગરીકોને અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. જે 24 ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરાયું છે તેમાં વાવ તાલુકાના 12 ગામ અને સૂઇગામ તાલુકાના 12 ગામોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન છોડવામાં આવી રહ્યાં છે, જોકે ભારતીય સુરક્ષા પ્રણાલી પાકિસ્તાનના ડ્રોનને હવામાં જ તોડી પાડે છે. આ સંજોગોમાં સુરક્ષાના ભાગરૂપે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામમા બ્લેક આઉટ જાહેર કરાયુ છે. મહત્વનું છે કે, બનાસકાંઠામાં આવેલું બોર્ડર પરનું નડાબેટ ટુરીઝમ પ્રવાસીઓ માટે બંધ કરાયું છે. જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી નડાબેટ બંધ કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતીમાં જણાવાયું હતું કે, પાટણની સરહદે આવેલા સાંતલપુર તાલુકાના કેટલાક ગામોમાં પણ વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. ગુરુવારે પણ આ ત્રણ જિલ્લાઓમાં લગભગ સાત કલાક માટે આવી જ રીતે બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો. બ્લેકઆઉટથી પ્રભાવિત જિલ્લાઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભુજ, નલિયા, નખત્રાણા અને ગાંધીધામ શહેરો સહિત કચ્છના ઘણા ભાગોમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવાનો નિર્ણય પાકિસ્તાનના કોઈપણ હુમલાને નિષ્ફળ બનાવવા માટે સાવચેતીના પગલા તરીકે લેવામાં આવ્યો હતો. ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે વીજળી ગુલ થઈ ગઈ અને શુક્રવારે સવારે 5.30 વાગ્યા પછી પાછી આવી.
સરહદથી 20 કિમી દૂર ડ્રોનનો કાટમાળ મળ્યો
અગાઉ ગુરુવારે ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ગામ નજીક 'ડ્રોન જેવી' વસ્તુનો કાટમાળ મળી આવ્યો હતો, જે ભારત-પાકિસ્તાન સરહદની નજીક છે. જોકે ડ્રોન ક્યાંથી આવ્યું તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. એ પણ જાણી શકાયું નથી કે, વીજળીના તાર સાથે અથડાયા પછી તેને સેનાએ ગોળી મારીને તોડી પાડ્યું હતું કે પછી તે નુકસાન થયું અને નીચે પડી ગયું. જે જગ્યાએ કાટમાળ મળ્યો તે ભારત-પાકિસ્તાન સરહદથી લગભગ 20 કિલોમીટર દૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.