મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે એકબીજાના ધારાસભ્ય તોડવાની કોશિશ ગુરુવારે રાતે રાજકીય યુદ્ધમાં ફેરવાઇ ગઇ હતી. સાંજે એક લાપતા ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ભાજપના બે ધારાસભ્ય મુખ્યપ્રધાન કમલનાથના સરકારી નિવાસસ્થાને પહોંચી ગયા હતા. ધારાસભ્યને પોતાની છાવણીમાં લાવવા માટે આખી રાત જંગ ચાલતાં કોંગ્રેસ અને ભાજપ બંનેનું ટેન્શન ખૂબ જ વધી ગયું હતું. કમલનાથ પોતાની સરકાર બચાવવા ગમે તે ઘડીએ પોતાની કેબિનેટનું વિતરણ કરીને બાગી ધારાસભ્યને સ્થાન આપશે.
કોંગ્રેસના ધારાસભ્ય ડંગનું રાજીનામું
ભાજપના એક એમપી કમલનાથને મળ્યા
મધ્યપ્રદેશમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ડ્રામાએ કમલનાથ સરકારની મુશ્કેલી વધારી દીધી છે. એવું માનવામાં આવતું હતું કે બુધવારે મુખ્યપ્રધાન કમલનાથે દિગ્વિજયસિંહ સાથે મળીને ડેમેજ કંટ્રોલ કરી લીધું છે, પરંતુ ગુરુવાર બપોર બાદ ફરી રાજ્યની રાજનીતિમાં પલટો આવ્યો હતો. ત્રણ દિવસથી લાપતા કોંગ્રેસના ધારાસભ્ય હરદીપસિંહ ડંગે રાજીનામું આપી દીધું છે.
જોકે હજુ સુધી તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. ડંગે પોતાનું રાજીનામું વિધાનસભાના સ્પીકર અને મુખ્યપ્રધાન કમલનાથને મોકલી આપ્યું છે. હજુ પણ કોંંગ્રેસના કેટલાક ધારાસભ્ય રાજીસનામાં આપી શકે છે. જે ધારાસભ્યનાં રાજીનામાંની શકયતા છે તેમાં સુમાવલીના એન્દલસિંહ કંસાના, રઘુરાજ કંસાના, ગોહદના રણવીર જાટવ, કમલેશ જાટવ, અનુપપુરના બિસાહુલાલ, ગોપાલસિંહ અને વિક્રમસિંહનો સમાવેશ થાય છે.
સંકટમાં ઘેરાયેલા મુખ્યપ્રધાન કમલનાથે રાતોરાત રાજ્યના ડીજીપીની પણ બદલી કરી નાખી છે. ડીજીપી વી.કે.સિંહની જગ્યાએ વિવેક જોહરીને રાજ્યના નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ ભાજપ ઉપરાંત સપા અને બસપાના ધારાસભ્યએ પણ કોંગ્રેસ વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. તેમણે કોંગ્રેસને પોતાના નિવેદન પર લગામ કસવા ચેતવણી આપી છે.
ડંગના રાજીનામા બાદ કોંગ્રેસે પણ વળતો દાવ ખેલ્યો હતો. ભાજપના બાગી ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી મુખ્યપ્રધાન કમલનાથના ઘરે પહોંચી ગયા હતા. ત્રિપાઠીએ ત્યારબાદ સ્પીકરની પણ મુલાકાત કરી હતી. ત્રિપાઠીએ રાજીનામું આપ્યું હોવાની અફવાઓ જોરશોરથી ચાલી હતી, પરંતુ પાછળથી તેમણે એવો ખુલાસો કર્યો હતો કે તેઓ પોતાના વિધાનસભા ક્ષેત્રના વિકાસ માટે મુખ્યપ્રધાનને મળવા ગયા હતા.
અહેવાલો અનુસાર કમલનાથ સરકારને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી એક ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. બાગીઓને શાંત કરવા માટે કમલનાથ આજકાલમાં જ પોતાની કેબિનેટનું વિસ્તરણ કરશે અને તેમાં બાગી ધારાસભ્યને સ્થાન આપવામાં આવશે. કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ અને કપિલ સિબ્બલ પણ ભાજપના દાવને નિષ્ફળ બનાવવાના કામે લાગી ગયા છે.