જમ્મૂ કાશ્મીરમાં અનેક યુવાનો આતંકી અને કટ્ટરપંથીઓના ચક્કરમાં ફસાઇ આતંકનો રસ્તો અપનાવી લે છે. આતંકના આકા યુવાનોને ભડકાવી ખોટા રસ્તે લઇ જાય છે. પણ આવા ભટકેલા યુવકોને મુખ્યધારામાં પરત લાવવા માટે ભારતીય સેના ચલાવી રહી છે એક ખાસ ઓપરેશન જેનું નામ છે ઓપરેશન માં.
ઓપરેશન માં અંતગર્ત આતંકના રસ્તે ગયેલા યુવાનોને સમજાવવા માટે પરિવારને એક તક આપવામાં આવે છે. ઓપરેશન માં શરૂ કરનાર લેફ્ટિનેન્ટ જનરલ ઢિલ્લોને જણાવ્યું કે આ ઓપરેશન દ્વારા અનેક યુવાનોને આતંકના રસ્તાથી પરત લાવવામાં આવ્યાં છે. ઓપરેશન માંની વાત કરીએ તો આતંકી અને સેના વચ્ચે અથડામણ સમયે પકડાયેલા સ્થાનિક આતંકવાદીનોને એક તક આપવામાં આવે છે.
માતા કે પરિવાર સાથે વાત કરવાની તક આપવામાં આવે છે. આ દરમિયાન પરિવારજનો આતંકવાદનો રસ્તો છોડી સામાન્ય જીવનમાં પરત આવવા માટે સમજાવે છે. ઓપરેશન માં શરૂ કર્યા બાદ આતંકવાદી જૂથોમાં જોડાનારા યુવાનોની સંખ્યામાં ઘટાડો થયો છે.
સુરક્ષા એજન્સીના રિપોર્ટ મુજબ છ મહિના પહેલા જમ્મૂ કાશ્મીરમાંથી 370 હટાવ્યાં બાદ અને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેચાયા બાદ દર મહિને માત્ર પાંચ યુવાનો જ આતંકવાદી જૂથોમાં જોડાઇ રહ્યાં છે. જ્યારે છ મહિના પહેલા એટલે કે પાંચ ઓગસ્ટ 2019 પહેલા દર મહિને 14થી વધુ યુવાનો આતંકી જુથોમાં જોડાતા હતા.
મહત્વની વાત તો એ છે કે ઓપરેશન માં અંગે સેના દ્વારા કોઇ વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી. કારણ કે આ ઓપરેશન દ્વારા ધીમે ધીમે સામાન્ય જીવનમાં પરત ફરી રહેલા પૂર્વ આતંકવાદીઓની સુરક્ષા અને જીવને ખતરો ઉભો થઇ શકે છે.