નવસારીના વાંસદા નજીક આવેલા એક ખોબા જેવડા ગામમાં અસ્થિર મગજના યુવકે આત્મહત્યા કરતા દ્રવી ઉઠેલા માતા-પિતાએ પણ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું.
એક પરિવારના ત્રણ સભ્યોની આત્મહત્યા
ત્રણ વર્ષની પૂત્રી અને માતાએ ગુમાવ્યું છત્ર
અસ્થિર મગજનો પુત્ર અગાઉ ત્રણ વખત આત્મહત્યાનો કરી ચુક્યો હતો પ્રયાસ
નવસારીના વાંસદા તાલુકા નજીક આવેલા એક ખોબા જેવડા ગામમાં સામૂહિક આત્મહત્યાના બનાવના પગલે અરેરાટી વ્યાપી જવા પામી છે. કોરોનાની સારવાર બાદ,માનસિક સંતુલન ગુમાવી બેઠેલા એક યુવકે ઝાડ પર લટકીને આત્મહત્યા વહોરી લીધી હતી. પુત્રનો મૃતદેહ જોઈ માતા-પિતા પણ હેબતાઈ ગયા હતા.પરિવારમાં બે બહેનોના એકના એક ભાઈનો આં વિયોગ સહનના થતા,માતા-પિતાએ પણ મોત વહાલું કર્યું હતું.
માળો પિખાયો
નવસારી તાલુકાના વાસદાના મોળાઆંબા ગામે ઘટેલી આ અરેરાટી ઉપજાવનાર ઘટનામાં ગોપજી ઘોટાળ નામક વ્યક્તિ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એકાદ વર્ષ પહેલા ગોપજીના પુત્ર યોગેશને કોરોના સંક્રમણ થયું હતું. ધીમે-ધીમે સંક્રમણથી બહાર આવી રહેલો યોગેશ અચાનક જ માનસિક અસ્થિર થઈ જવા પામ્યો હતો. પોતાની માનસિક અસ્થિરતાના પરિણામે,યોગેશે આગાઉ ત્રણ વખત આત્મહત્યા વહોરવાનો પ્રયાસ પણ કર્યો હતો.પુત્રની આ સ્થિતિ જોઈ માતા-પિતાનું હૃદય સતત કોરી ખાતું હતું.અને પુત્ર યોગેશ પર સતત દેખરેખ રાખવાની ફરજ પડી ગઈ હતી.
ના જાણ્યું જાનકી નાથે....
માતા-પિતાની સતત કાળજી હોવા છતાં પુત્ર યોગેશ ક્યારે ઘરમાંથી નજર ચૂકવીને સીમમાં જતો રહ્યો તેની કોઈને ખબર પણ ના પડી. અને યોગેશે ઘર નજીક આવેલા આંબાના ઝાડ પર ગળાફાંસો ખાઈ મોત વહાલું કર્યું. આ તરફ, પુત્રને ઘરની નજીક ક્યાય ના જોતા માતા-પિતા વિહ્વળ બની ગયા અને બહાવરા બનીને શોધ કરવા લાગ્યા.ત્યા જ સમાચાર મળ્યા કે પુત્રએ આત્મહત્યા કરી છે. પુત્રનો વિયોગ માતા-પિતા માટે એટલો કારમો રહ્યો કે,તેઓ ખુદ સુધ-બુધ ગુમાવી બેઠા. અને માતા-પિતા બંને એ અંબાની અલગ-અલગ ડાળી પર લટકી જઈ જીવન ટૂંકાવી નાખ્યું.
આક્રંદ -અરેરાટી
ગોપજીને બે પુત્રીઓ છે અને બંને પરણિત છે.જેમાંની એક પુત્રી ગામમાં જ પરણાવી છે. પુત્રીએ ભાઈના ખબર-અંતર પૂછવા માતા-પિતાને ફોન કર્યો હતો.પરંતુ ફોન પર કોઈ જવાબ ના મળતા તે પણ આકુળ-વ્યાકૂળ બની ગઈ હતી. તેણીએ ખુદ માતા-પિતા અને ભાઈની ભાળ કાઢવા પ્રયાસ કર્યો ત્યારે તેની સામે આ અરેરાટીસભર ઘટના સામે આવી.
વિધિની વક્રતા તો જુઓ કે માનસિક અસ્થિર યુવાન યોગેશે આત્મહત્યા કરી તેને માત્ર 3 વર્ષની પુત્રી છે. હવે આખા પરિવારમાં યોગેશની પત્ની અને માત્ર 3 વર્ષીય પુત્રી જ રહ્યા.
સમગ્ર વાસદા પંથકમાં અરેરાટી પ્રસરવા સાથે લોકમુખે એક જ ચર્ચા છે કે,હવે યોગેશની પત્ની અને પુત્રીનું કોણ ? કોના સહારે તેઓ બાકીની જીંદગી વિતાવશે ?