ભારતીય સુરક્ષા દળ આપણા માટે કેટલુ મહત્વ ધરાવે છે તે વાત તો આપણે બરાબર જાણીએ જ છીએ. એટલે જ દેશમાં કોઈ સૈનિક શહાદત વહોરે છે ત્યારે આખા દેશમાં શોકનો માહોલ જોવા મળે છે પરંતુ આપણને એ સૈનિકોની કામગીરીની માહિતી હોવી પણ જરૂરી છે. જેથી આપણે આજે સેના અને અર્ધ સૈનિક દળોની જુદી જુદી પાંખોને ઓળખવાનો પ્રયાસ કરીશું. આ ઉપરાંત તમામ સુરક્ષા દળોની પોતાની વિશેષતા તેમની કામગીરી તેમજ તેમના વિશે રસપ્રદ વાતો જાણીને ગૌરવ અનુભવીશું.
ભારતના સુરક્ષા દળોના મુખ્ય બે પ્રકાર છે. એક મિલેટરી ફોર્સ જેને આપણે સેના તરીકે ઓળખીયે છીએ જ્યારે બીજુ છે પેરા મિલેટરી ફોર્સ જેને અર્ધ સૈનિક દળો તરીકે ઓળખવામાં આવે છે. સેનાની વાત કરવામાં આવે તો આપણે સૌ જાણીએ છીએ તેમ સેનાની ત્રણ પાંખો હોય છે વાયુ સેના જળ સેના અને થલ સેના. તેવી જ રીતે અર્ધ સૈનિક દળોની પણ જુદી જુદી પાંખો છે જેમ કે BSF CRPF NSG RPF કોસ્ટગાર્ડ અસમ રાઇફલ્સ વગેરે... આ તમામ વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું. કારણ કે જો દેશની જનતા પોતાની સેનાને ઓળખતી ન હોય તો દેશભક્તિના સાથિયાનો એક રંગ ઓછો જ રહે છે.
ભૂકંપ સુનામી પૂર રમખાણ ગૃહયુદ્ધ કે યુદ્ધભૂમિનું રણ મેદાન. કોઈ પણ સંજોગોમાં જેવો દેશની સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા માટે તત્પર રહે છે. એવા સુરક્ષા દળો વિશે ભાગ્યે જ લોકો માહિતગાર હોય છે. આપણા દેશની કરુણતા જ એ છે કે આપણે આપણી સેનાની વિવિધ પાંખોથી પણ માહિતગાર નથી. સામન્ય રીતે લોકો તમામ સુરક્ષા દળોને આર્મી તરીકે જ ઓળખે છે પરંતુ વાસ્તવમાં તે સંપૂર્ણ સત્ય નથી. આપણે ત્યા જુદી જુદી ભૂમિકા માટે અનેક સુરક્ષા દળો છે. જેની પોતાની અલગ અલગ વિશેષતા અને અલગ અલગ કામગીરી છે. પરંતુ સરવાળે તેમનો ઉદ્દેશ દેશના રક્ષણનો જ છે.
વાયુસેના
ભારતીય સશસ્ત્ર સેના એટલે કે આર્મીની ત્રણ પાંખો પૈકીની એક પાંખ એટલે વાયુસેના. જેનું સુત્ર છે નભહ સ્પૃશમ દિપ્તમ એટલે કે ગર્વ સાથે આકાશને ચુમવુ. હવાઈ માર્ગે દુશ્મનોને ધુળ ચટાડતી વાયુ સેનાની શું કામગીરી છે? ક્યારે તેની સ્થાપના થઈ? તેની શું વિશેષતા છે? તેમાં કેડર સિસ્ટમ શું છે? તો આવો જોઈએ વિસ્તારથી વાયુસેના વિશે.
જેનું નામ સાંભળીને સીમા પારના દુશ્મનોના ગાત્રો થીજી જાય છે તે વાયુ સેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ થઈ હતી. આઝાદી પહેલા તેને રોયલ ઇન્ડિયન એરફોર્સના નામે ઓળખવામાં આવતી હતી. જેણે દ્વિતીય વિશ્વ યુદ્ધમાં અદ્વિતીય ભૂમિકા ભજવી છે. આઝાદીથી આજ સુધીમાં થયેલા પાકિસ્તાન સાથેના 4 અને ચીન સાથેના એક યુદ્ધમાં વાયુસેનાએ મહત્વનું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત ઓપરેશન વિજય ગોવા મુક્તિ ઓપરેશન મેઘદૂત ઓપરેશન ફેક્ટસ અને ઓપરેશન પુલમાઈમાં સફળ કામગીરી કરી છે. એક લાખ 70 હજારથી વધુ સક્રિય સૈનિક ધરાવતી વાયુસેના પાસે 1720થી પણ વધુ વિમાન છે. જે ભારતીય વાયુસેનાને વિશ્વની ચોથી સૌથી મોટી વાયુસેના હોવાનું ગૌરવ અપાવે છે.
સેનાના તેની કામગીરીને આધારે બે પ્રકાર હોય છે. જેમકે યુદ્ધ માટેની વાયુસેના અને બીજી લોજીસ્ટિક એટલે કે સામાનની હેરફેર માટેની વાયુસેના. આ વાયુ સેનાની કેડરની વાત કરવામાં આવે તો. ભારતની વાયુસેનાના કમાન્ડર ઇન ચીફ દેશના રાષ્ટ્રપતિ હોય છે. ત્યારબાદ સમગ્ર વાયુસેનાની કમાન ભારતીય વાયુસેનાના માર્શલના હાથમાં હોય છે ત્યારે બાદ ઉતરતાક્રમમાં રેન્ક જોઈએ તો વાયુસેનાના માર્શલ એર ચીફ માર્શલ એક માર્શલ એર વાઇસ માર્શલ એર કમાન્ડર ગૃપ કેપ્ટન સ્કવાડ્રન લીડર ફ્લાઇટ લેફ્ટનંટ ફ્લાઇંગ ઓફિસર અને પાયલટ ઓફિસર હોય છે.
જેવી રીતે માત્ર 25 સૈનિકોથી શરૂ થયેલી વાયુસેનાનો ઇતિહાસ ભાતિગળ છે તેવી જ રીતે તેની સાથે સંકળાયેલી કેટલીક માહિતી પણ રસપ્રદ છે. જેમકે ભારતીય વાયસેનાએ ચલાવેલુ ઓપરેશન રાહત વિશ્વનું સૌથી મોટુ ઓપરેશન હતું. 2009માં વાયુસેનામાં એક વિશેષ ઓપરેશન યુનિટની સ્થાપના કરવામાં આવી જેનું નામ છે ગરુડ કમાન્ડો ગરુડ કમાન્ડોનું નામ સાંભળીને જ દુશ્મોને વાછુટ થઈ જાય છે.
જોકે 1965 પહેલા ભારતની વાયુસેના ટેક્નોલોજીમાં પાકિસ્તાન કરતા પાછળ હતી. તેમ છતા 65ના યુદ્ધમાં ભારતીય વાયુસેનાના બહાદુર અધિકારીઓએ પાકિસ્તાનના 'સબરે' યુદ્ધ વિમાન સાથે બાથભીડી. જેથી તેમને 'સબરે કા કાતિલ'ની ઉપમા મળી. મોતને મુઠ્ઠીમાં લઈને ઉડતા આપણા વાયુસેનાના આસમાની ફરિસ્તાઓ કોઈ દેવદૂતથી કમ નથી. દેશની ધરા સુરક્ષિત રહે તે માટે ગગન પરથી ગર્જના કરતા વાયુસેનાના જવાનોની જેટલી પ્રસંશા કરીએ તેટલી ઓછી છે.